Weather Updates: ઉ. ભારતમાં ગાઢ ધૂમ્મસ, ઠંડી, ગંભીર કોલ્ડ ડેની સ્થિતિ, દિલ્લી, પંજાબ, યુપીમાં ઠાર
Weather Updates: મકરસંક્રાંતિ પછી સામાન્ય રીતે હવામાન બદલાતુ હોય છે અને ઠંડી અને ધૂમ્મસ ઓછુ થવા લાગે છે. પરંતુ આ તમામ આશાઓ ઠગારી નીવડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડીથી રાહત નહીં મળે. આ અઠવાડિયે, છેલ્લા ચાર મહિનાથી ઘણી જગ્યાએ તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત છે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હાડ ધ્રૂજાવતી ઠંડી યથાવત છે. આ સપ્તાહ ગુરુવારથી ઉત્તર ભારતમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગો, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી પારો સતત નીચે જઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં આજે ઠંડાથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. જ્યારે હરિયાણા અને ચંદીગઢના જુદા જુદા ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
દિલ્હીના પાલમ, પંજાબના અમૃતસર, રાજસ્થાનના ગંગા નગર, બિહારના પૂર્ણિયા, બહરાઇચ, બરેલી, યુપીના લખનૌ અને અન્ય ઘણા સ્થળોએ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. રવિવારે દિલ્હીના પાલમમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, જ્યારે ચંદીગઢ, અંબાલા અને હિસારમાં મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું.
પંજાબના અમૃતસરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. અહીં મહત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય દિવસો કરતાં 8 ડિગ્રી ઓછું હતું. પટિયાલામાં તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 15.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રવિવારે યુપીના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, રાજસ્થાનના કેટલાક સ્થળો અને બિહારના કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. જ્યારે બિહારમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગયામાં આ અઠવાડિયે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હરિયાણાના દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. રવિવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં માત્ર 20 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, રાજસ્થાનના ગંગાનગરમાં મહત્તમ તાપમાનમાં 8 ડિગ્રીથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે કરૌલીમાં ધૂમ્મસના કારણે વાહનવ્યવહાર પર ખરાબ અસર પડી હતી. અહીં 5 મીટર સુધી વિઝિબિલિટી હોવાથી હાઇવે પર ચાલવું મુશ્કેલ બન્યું હતું.
ગાઢ ધૂમ્મસના કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. યુપીમાં ગાઢ ધૂમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. બારાબંકી જિલ્લામાં રવિવારે એક પૂરપાટ ઝડપે દોડતી હોન્ડા અમેઝ કાર ઈન્દિરા કેનાલમાં પડી હતી. જેના કારણે કેનાલમાં 5 લોકો ડૂબી ગયા હતા. અકસ્માતમાં 3 લોકોએ તરીને જીવ બચાવ્યો હતો. જ્યારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર છેલ્લા 24 કલાકમાં બે મોટા અકસ્માતો થયા છે. બંને અકસ્માતમાં એક-એક ટ્રક ચાલકે જીવ ગુમાવ્યો હતો. જ્યારે સીકરમાં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. લક્ષ્મણગઢ તરફ જતી એક કાર ડિવાઈડર તોડીને રોડની બીજી બાજુ જઈ રહેલી બોલેરો સાથે અથડાઈ હતી. કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું છે કે સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. જેના કારણે 14 જાન્યુઆરીએ ઈન્ડિગોની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, "અમારા સ્ટાફે મુસાફરોને એરપોર્ટ પર તમામ વિલંબ અને કેન્સલેશન વિશે જાણ કરી હતી અને મુસાફરોની સુવિધા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ."












Click it and Unblock the Notifications
