West Bengal: TMC કાર્યકર્તાના ઘર પર બ્લાસ્ટ, બે લોકોના મોત
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં શુક્રવારે એક વિસ્ફોટ થયો હતો.
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં શુક્રવારે એક વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનુ કહેવાય છે. આ વિસ્ફોટ પાછળનુ કારણ ક્રૂડ બોમ્બ હતો પરંતુ તે કેવી રીતે વિસ્ફોટ થયો તે જાણી શકાયુ નથી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરનુ હતુ. પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી શનિવારે એટલે કે આજે આ વિસ્તારમાં જાહેર રેલી કરવાના છે.

શુક્રવારે રાત્રે ભૂપતિ નગર પોલીસ સ્ટેશનના અર્જૂન નગર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે ઘરની છત ઉડી ગઈ હતી. ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પરથી અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. જેની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બંને મૃતકો ટીએમસીના કાર્યકર્તા હતા પરંતુ પાર્ટીએ હજુ આ અંગે કંઈ પણ કહ્યુ નથી.
આ ઘટના બાદ ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યુ છે. ભાજપે કહ્યુ કે ટીએમસીના કાર્યકરો બૉમ્બ બનાવી રહ્યા ત્યારે આ વિસ્ફોટ થયો. માટે સ્પષ્ટ છે કે રાજ્યની સ્થિતિ માટે આ પક્ષ જવાબદાર છે. આ પહેલા 6 નવેમ્બરે ડેગંગામાં TMC નેતાના ઘરે વિસ્ફોટ થયો હતો. એ ઘટનામાં પણ બે લોકો ઘાયલ થયા હતા.
તમને જણાવી દઈએ કે આજે TMC મહાસચિવ અભિષેક બેનર્જીની તે જ વિસ્તારમાં જાહેર સભા છે જ્યાં વિસ્ફોટ થયો હતો. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીનો આ ગઢ છે, જેઓ પહેલા મમતા બેનર્જીની નજીક હતા. ગત ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા અને નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. સુવેન્દુ આજે ડાયમંડ હાર્બરના લાઇટ હાઉસમાં સભા કરવાના છે જે અભિષેક બેનર્જીનો ગઢ ગણાય છે.












Click it and Unblock the Notifications
