દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ કેજરીવાલે શું કહ્યું?
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : આજે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ફરી એક વાર શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં હજારો લોકોનું સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે અમે દિલ્હીના વિકાસ માટે 24 કલાક કામ કરીશું. અમે ટૂંક સમયમાં જનલોકપાલ બિલ પાસ કરીશું.
લોકોનું સંબોધન કરતાં તેણે જણાવ્યું કે બરાબર એક વર્ષ બાદ અમે ફરી સરકાર બનાવી છે. આ વખતે અમે બહુમતીથી આવ્યા છીએ. હું જાણતો હતો કે દિલ્હી અમને પ્રેમ કરે છે, પણ 70માંથી 67 સીટ આપે એટલો પ્રેમ કરે છે એમ નહોતો જાણતો.
તેણે ઉમેર્યું કે જરૂર પડશે તો અમે 24 કલાક કામ કરીશું. આજે મને સખત તાવ છે. અહીં આવતાં પહેલા મેં ક્રોસિન લીધી હતી. કેજરીવાલે મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીવાસીઓને કહ્યું કે અમારે દિલ્હીમાં વીઆઈપી કલ્ચરનો અંત લાવવો છે, કારણ કે જ્યારે કોઈ પ્રધાનની ગાડી પસાર થતી હોય ત્યારે રસ્તા પર થતો જામ કોઈને ગમતો નથી.

તેણે કહ્યું કે કિરણ બેદી તેમના મોટા બહેન જેવા છે, આથી વખતોવખત તેમની તથા અજય માકનની અમે સલાહ લેતાં રહીશું. અમારે પાર્ટીવાદમાં પડવું નથી. તેણે કહ્યું કે આજે મેં એકલાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ નથી લીધી. આપ સૌ દિલ્હીના મુખ્યમંત્રી છો. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે મને સાચા નિર્ણયો લેવાની શક્તિ આપે અને મારામાં અહમ નહીં લાવે.
આ સાથે કેજરીવાલે મીડિયાને પણ વિનંતી કરી કે તેમના દરેક પગલાંને શંકાની દૃષ્ટિએ ના જુએ અને તેમને યોગ્ય સહકાર આપે. કેજરીલે જનલોકપાલ બિલ પણ ટૂંક સમયમાં પાસ કરવાની વાત કહી હતી. તેણે દિલ્હીની જનતાને ખુલ્લાં દિલથી ટેક્સ ભરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે 49 દિવસની સરકારમાં મેં એક વાત શીખી કે સરકાર પાસે પૈસાની ખોટ નથી, વિચારોનો અભાવ છે. ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતાં કેજરીવાલે કહ્યું કે મને ખાતરી છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સાથે ભારત પાછા ફરશે.












Click it and Unblock the Notifications
