નરેશ અગ્રવાલે પીએમ મોદીને હસવા માટે કર્યા મજબૂર
નોટબંધી પર ચર્ચા દરમિયાન નરેશ અગ્રવાલે પીએમ મોદીના વારંવાર ભાવુક થવાનો કર્યો ઉલ્લેખ...
રાજ્યસભામાં પીએમ મોદીની હાજરીમાં નોટબંધીને લઇને થોડી વાર ચર્ચા ચાલી પરંતુ પ્રધાનમંત્રીના ગયા બાદ ફરીથી સંસદમાં હોબાળો શરુ થઇ ગયો. અને સંસદની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી. નોટબંધી પર ચર્ચા દરમિયાન સંસદમાં જ્યાં એક તરફ આજે ગંભીર ચર્ચા થઇ તે દરમિયાન સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલની વાત પર પ્રધાનમંત્રી હસી પડ્યા હતા.
પીએમ મોદી હસી પડ્યા
રાજ્યસભામાં આજે નોટબંધી પર ચર્ચા માટે પ્રધાનમંત્રી હાજર છે. વિપક્ષ તરફથી નોટબંધીના નિર્ણય અંગે સતત સવાલો કરવામાં આવી રહ્યા છે. નરેશ અગ્રવાલે આ દરમિયાન પ્રધાનમંત્રીના વારંવાર ભાવુક થવાનો ઉલ્લેખ કર્યો. નરેશ અગ્રવાલે કહ્યુ કે પીએમ જ્યારે ભાવુક થઇ જાય છે અને કહે છે કે લોકો મને મારી નાખશે તો મને ખૂબ દુખ થાય છે. અગ્રવાલે કહ્યુ કે પીએમ, તમે યુપીમાં નિશ્ચિંત થઇને ફરો, ત્યાં તમને કોઇ ખતરો નથી કારણકે ઉત્તરપ્રદેશમાં કાનૂન વ્યવસ્થા શાનદાર છે. અગ્રવાલનું આટલુ બોલતા જ પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી અરુણ જેટલી પણ પોતાને હસતા રોકી ન શક્યા.
56 ઇંચની છાતીનું શું થયુ પ્રધાનમંત્રીજી?
નરેશ અગ્રવાલે સંસદમાં કહ્યુ કે જો પીએમ જ ભાવુક થઇ જશે અને કહેશે કે મારા જીવને જોખમ છે તો પછી દેશની સુરક્ષાનું શું થશે? તેમણે કહ્યુ કે પાકિસ્તાને બે દિવસ પહેલા આપણા ત્રણ સૈનિકોને મારી નાખ્યા અને તેમના શરીરને વિકૃત બનાવી દીધા. એવામાં દેશ ચિંતિત છે કે આ શું થઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીજી આપની 56 ઇંચની છાતી ક્યાં છે? નરેશ અગ્રવાલે કહ્યુ કે નોટબંધીનું એલાન કરીને તમે આખા દેશમાં આપાતકાલ લાવી દીધુ છે. દેશમાં દરેક વ્યક્તિ તકલીફમાં છે. એવામાં આ નિર્ણય પર વિચારની જરુરત છે.
મનમોહનસિંહના આકરા પ્રહારો
રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ નોટબંધી ચર્ચામાં ભાગ લીધો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી આખી દુનિયામાં એ દેશનું નામ બતાવે જ્યાં લોકો પોતાના પૈસા તો બેંકમાં જમા કરી દે છે પરંતુ તે જ પૈસા કાઢી શકતા નથી. મનમોહન સિંહે કહ્યુ કે કોઇ પણ મેનેજમેંટ વિના નોટબંધીના નિર્ણયને આખા દેશમાં લાગૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે નોટબંધીના નિર્ણયથી આખા દેશની જીડીપીમાં 2% ઘટાડો થઇ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે તેઓ 50 દિવસનો સમય લોકો પાસે માંગી રહ્યા છે. પરંતુ આ 50 દિવસ દેશના ગરીબો માટે બહુ હાનિકારક બની શકે છે.
65 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
તેમણે કહ્યુ કે બેંકિંગ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. વિમુદ્રીકરણના નિર્ણયને લાગૂ કર્યા બાદ 65 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. નોટબંધીથી લોકો ખૂબ તકલીફમાં છે. આના પર ધ્યાન આપવાની જરુર છે. આ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ સહકારી બેંક છે જે લોકોની મદદ કરે છે. પરંતુ વિમુદ્રીકરણ બાદ આ બેંકોના કામ બંધ થઇ ગયા છે. લાંબા સમયમાં આનો ફાયદો થશે તેવી કેટલાક લોકોની વાતને કોટ કરતા તેમણે કહ્યુ કે લાંબા સમય બાદ આપણે બધા મરી ગયા હોઇશુ.