કર્ણાટકમાં કોંગ્રેસ ગઠબંધન કરશે કે કેમ? જાણો શું કહ્યું ડીકે શિવકુમારે?
કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે કોંગ્રેસ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે.
નવી દિલ્હી : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે ત્યારે કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રોજ રોજ રાજનીતિક સમીકરણો બદલાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે ગઠબંધનને લઈને પોતાનો મત સાફ કર્યો છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે કોંગ્રેસ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે.

બીજી તરફ અહેવાલો અનુસાર, 100થી વધુ બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે. પ્રથમ યાદી થોડા દિવસોમાં સામે આવશે. તમામ વર્તમાન ધારાસભ્યોને રિપીટ નહીં કરાય. કોંગ્રેસ કેટલાક ધારાસભ્યોની ટિકિટ કાપશે.
ડીકે શિવકુમારે કહ્યું કે, મને લાગે છે કે એક મોટો બદલાવ આવ્યો છે અને આખું રાજ્ય નવી સરકારની શોધમાં છે. કર્ણાટક આ દેશની ભ્રષ્ટાચારની રાજધાની બની ગયું છે. કોંગ્રેસની ટિકિટ માટે 1300થી વધુ દાવેદારોએ અરજી કરી છે અને આ તમામ ગંભીર દાવેદાર છે. તેમણે કહ્યું કે, અમને ચૂંટણીમાં સારા નંબરની આશા છે. અમે જાણીએ છીએ કે ભાજપને 65થી વધુ બેઠકો નહીં મળે. મારા સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી ભાજપની સીટો ઘટીને 40 સીટો પર આવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 2.59 કરોડ મહિલાઓ સહિત 5.21 કરોડ મતદારો છે. ચૂંટણી પંચ અનુસાર, મતદાર યાદીમાં 16,976 સો વર્ષથી ઉપરના, 4,699 ટ્રાન્સજેન્ડર મતદારો અને 9.17 લાખ પ્રથમ વખતના મતદારો છે. હવે બહુ જલ્દી ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
