કોણ છે ગૌરવ પાંધી? જેમણે વાજપેયીને ગણાવ્યા બ્રિટીશ મુખબીર
કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કરેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમણે અટલ બિહારીને 'બ્રિટિશ ઇન્ફોર્મર' કહ્યા, જેના પછી બીજેપી આક્રમક બની ગઈ.
આખા દેશે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પીએમ મોદી સહિત દેશના દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના સ્મારક 'સદૈવ અટલ' પર ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના એક નેતાએ અટલજી પર કરેલા ટ્વીટથી હંગામો મચી ગયો છે. કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કરેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમણે અટલ બિહારીને 'બ્રિટિશ ઇન્ફોર્મર' કહ્યા, જેના પછી બીજેપી આક્રમક બની ગઈ. આવી સ્થિતિમાં, જાણો કોણ છે ગૌરવ પાંધી, અટલજીને અંગ્રેજોના બાતમીદાર ગણાવનાર કોંગ્રેસી નેતા?
અટલજીને લઇ કર્યું આ ટ્વિટ
એક દિવસ પહેલા એટલે કે 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર, ગૌરવ પાંધીના એક ટ્વીટથી હંગામો મચી ગયો હતો. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે "1942માં આરએસએસના અન્ય સભ્યોની જેમ અટલ બિહારી વાજપેયીએ ભારત છોડો આંદોલનનો બહિષ્કાર કર્યો હતો અને એક બ્રિટિશ બાતમીદાર તરીકે આ આંદોલનમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ અહેવાલ આપ્યો હતો. નેલી હત્યાકાંડ અને બાબરી મસ્જિદને તોડી પાડવા ભીડને ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૌરવ પાંધીના આ ટ્વિટ બાદ ભાજપ આક્રમક બની ગયું છે.
કોણ છે ગૌરવ પાંધી?
ગૌરવ પાંધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કો-ઓર્ડિનેટર છે. તેમને તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીમમાં સંયોજકની જવાબદારી મળી છે. ગૌરવ પાંધી 10 વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં સોશિયલ મીડિયા સ્વયંસેવક તરીકે જોડાયા હતા. 39 વર્ષીય ગૌરવ પાંધીને નવેમ્બરમાં AICCની 4 સભ્યોની ટીમમાં કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગૌરવ પાંધીને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે.
BJPએ કર્યો પલટવાર, માફીની કરી માંગ
બીજી તરફ ગૌરવ પાંધીના આ ટ્વિટ બાદ ભાજપે તેમના અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આવા લોકોને પ્રોત્સાહન આપે છે. કોંગ્રેસે આ માટે માફી માંગવી જોઈએ અને તેમને (પાંડીને) બરતરફ કરવા જોઈએ. જોકે, બાદમાં ગૌરવ પાંધીએ આલોચના બાદ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.