કોણ છે કામિયા જાની? જાણો કેમ જગન્નાથ મંદિરમાં જતા ધરપકડની માંગ થઈ રહી છે?
સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને કર્લી ટેલ્સની સ્થાપક કામિયા જાની કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે તે ફરીથી વિવાદોમાં આવી છે.
સેલિબ્રિટીઝ સાથે હેંગઆઉટ અને ફૂડ બ્લોગર કામિયા જાનીના નામે મોટો વિવાદ સર્જાયો છે. કામિયા ભગવાન જગન્નાથ મંદિરમાં જતા મોટો વિવાદ થયો છે અને ધરપકડની માંગ થઈ રહી છે.

કામિયાને લઈને બીજેપીએ કહ્યું છે કે, કામિયા જાની બીફનું સમર્થન કરે છે, તેથી ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા બદલ તેની ધરપકડ થવી જોઈએ.
ભગવાન જગન્નાથ મંદિર સંકુલમાં પૂર્વ IAS અધિકારી અને બીજુ જનતા દળના નેતા વીકે પાંડિયન સાથે વાત કરી રહેલી કામિયા જાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિવાદ ઉભો થયો છે.
ઓડિશા બીજેપીએ વાંધો ઉઠાવતા કહ્યું કે, કામિયા જાની ગૌમાંસના પ્રચાર માટે જાણીતી હતી અને તેને પુરીના પ્રતિષ્ઠિત જગન્નાથ મંદિરની મુલાકાત કેવી રીતે કરવા દેવામાં આવી?
ઓડિશા બીજેપી મહાસચિવ જતિન મોહંતીએ કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 295 હેઠળ કામિયા જાનીની ધરપકડ કરવાની માંગ કરી છે. આ પછી કામિયા જાની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
વીડિયોમાં કામિયા જાની જગન્નાથ મંદિર પરિસરમાં વીકે પાંડિયન સાથે વાત કરી રહી છે અને મહાપ્રસાદ લેતી જોવા મળી રહી છે. વિડિયોમાં કામિયા હાલમાં ચાલી રહેલા હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટના મહત્વ અને મંદિરના વિકાસ સાથે સંબંધિત પાસાઓ વિશે વિગતવાર વાત કરે છે.
સવાલ એ થાય છે કે કોણ છે કામિયા જાની? અને તે મંદિરમાં શું કરવા ગઈ હતી? તો જણાવી દઈએ કે, કામિયા જાની ભારતની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર, કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર, ફૂડ બ્લોગર અને ટ્રાવેલ બ્લોગર છે.
કામિયા જાની કર્લી ટેલ્સ કંપનીના સ્થાપક છે. કર્લી ટેલ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જાણીતુ છે.
કામિયા જાની તેની ચેનલ કર્લી ટેલ્સ માટે ફૂડ બ્લોગિંગ અને ટ્રાવેલ બ્લોગિંગ બંને કરે છે. કામિયા મોટી ફૂડ ચેઈન અને ટ્રાવેલ કંપનીઓના ખર્ચે દેશ-વિદેશમાં પ્રવાસ કરે છે. ઘણી વખત તે પોતાના ખર્ચે સેલિબ્રિટી સાથે જમવા પણ જાય છે.
વિરાટ કોહલી, સચિન તેંડુલકરથી લઈને દીપિકા પાદુકોણ, કંગના રનૌત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રાહુલ ગાંધી, તે દેશના તમામ મોટા ખેલાડીઓ, અભિનેતાઓ-અભિનેત્રીઓ અને નેતાઓ સાથે બ્રંચ અથવા ડિનર માટે તે ગઈ છે.
કામિયા જાનીનો સન્ડે બ્રંચ ખૂબ જ પ્રખ્યાત શો છે. તે આ વીડિયો પોતાની ચેનલ, પેજ અને વેબસાઈટ પર શેર કરે છે. કામિયા જાનીની આવકનો પણ આ સૌથી મોટો સ્ત્રોત છે.
કામિયા જાનીએ તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં જણાવ્યું છે કે તે ભારતની સાંસ્કૃતિક બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેણે 172 સ્થળોની મુલાકાત લીધી છે.












Click it and Unblock the Notifications
