શું 3 વર્ષની બાળકીના મોતની જવાબદારી રાહુલ ગાંધી લેશેઃ ભાજપ
શું 3 વર્ષની બાળકીના મોતની જવાબદારી રાહુલ ગાંધી લેશેઃ ભાજપ
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું, દેશભરના કેટલાય રાજ્યોમાં આજે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી ડરનો માહોલ ફેલાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
રવિશંકર પ્રસાદે કહ્યું કે "લોકતંત્રમાં વિરોધ કરવાનો અધિકાર છે અને એ અધિકારનો અમે સ્વાગત કરીએ છીએ પણ શું લોકતંત્રમાં રાજનીતિ હિંસાના નામે થશે? પેટ્રોલ પંપ પર આગ લગાવવામાં આવી રહી છે જેનાથી કેટલી જિંદગી બરબાદ થઈ શકે છે? ગાડી અને બસ તોડવામાં આવી રહી છે. બિહારમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતાં એક બાળકીનું મૃત્યુ થઈ ગયું."
વધુમાં કહ્યું કે "ત્યારે રાહુલ ગાંધીને હું સવાલ પૂછવા માગું છું કે બિહારમાં ત્રણ વર્ષની બાળકીના મૃત્યુની જવાબદારી તમે લેશો? દરેક બંધમાં દવાની દુકાન અને એમ્બ્યુલન્સને ન રોકવી જોઈએ. પણ બિહારના ઝહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષી દળોએ કોંગ્રેસને ન જવા દીધી. આ હિંસાનો તાંડવ અને મોતનો ખેલ બંધ થવો જોઈએ. અમારો આરોપ છે કે નાગરિકોને કંઈ સમસ્યા છે? નાગરિકો આ બંધમાં નથી એટલે જ કોંગ્રેસ અને વિરોધી પક્ષો જબરદસ્તીથી ડરનો માહોલ ફેલાવી રહ્યા છે. લોકોનું સમર્થન નથી મળતું તો ઉગ્રતાનો ઉપયોગ કરી બંધને સફળ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. "
ક્રૂડના વધતા ભાવ મામલે ભાજપનો બચાવ કરતા કહ્યું કે, પેટ્રોલ ડીઝલની કિંમત વધારવી કે ઘટાડવી અમારા હાથમાં નથી. આપણે તેલની આયાત પર નિર્ભર રહેવું પડે છે. ત્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં તેના ભાવ વધવાથી ભારતમાં પણ વધે. જણાવી દઈએ કે ગુજરાતમાં પણ સ્વયંભૂ ભારત બંધને સમર્થન મળી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં બંધ પાળવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી