મધ્ય પ્રદેશ: મંદસૌરમાં ખેડૂતોની હત્યા માટે જવાબદાર કોણ?
મધ્ય પ્રદેશમાં ખેડૂતોના મૃત્યુ માટે જવાબદાર કોણ?મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર ગોળીબાર અંગે ગૃહમંત્રી અને પોલીસ અધિકારીના જુદા-જુદા નિવેદનો
1 જૂનથી વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોની માંગ છે કે, તેમનું દેવું માફ કરવામાં આવે અને સરકાર તરફથી તેમની ઉપજના યોગ્ય ભાવ આપવામાં આવે. મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. મંગળવારે મધ્ય પ્રદેશ ખાતે આંદોલન દરમિયાન ખેડૂતો પર ગોળીબાર થતાં આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું હતું.
મંગળવારે મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે ખેડૂતો પર જ ગોળીબાર કર્યો હતો, પોલીસની આ કાર્યવાહીમાં 5 ખેડૂતોનું મૃત્યુ થયું છે અને લગભગ 8 ખેડૂતો ઇજાગ્રસ્ત છે. આ ઘટનાને પગલે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હોવાની પણ ખબરો છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે, અત્યાર સુધીમાં 5 લોકોનું મૃત્યુ થયું છે અને ઘણા વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. કાલ સુધીમાં જો પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવી તો કરફ્યૂ ચાલુ રહેશે.

ખેડૂતોની હત્યા માટે જવાબદાર કોણ?
આંદોલનમાં ખેડૂતો પાસે કોઇ હથિયાર નહોતા, તો પછી પોલીસ તરફથી ગોળીબાર શા માટે કરવામાં આવ્યો? આ સવાલના બે અલગ-અલગ જવાબો સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે એનડીટીવીને જણાવ્યું હતું કે, 'પોલીસ તરફથી ગોળીબાર કરવામાં નથી આવ્યો, આ ગોળીબારની ઘટના અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આંદોલન દરમિયાન અસમાજાકિ તત્વો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.' મધ્ય પ્રદેશના કલેક્ટરે બુધવારે આ અંગે કહ્યું કે, 'ગોળીબાર કરવાના કોઇ આદેશ નહોતા. મેં ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે, આ અંગે કડક પગલાં લેવામાં આવશે.'

પોલીસ અધિકારીએ કહ્યું...
જો કે, ઉજ્જૈનના ડિવિઝન કમિશનર ઓ.એમ.ઝાએ અંગે બીજી વાત કહી છે. તેમણે કહ્યું કે, 'બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ કાર્યવાહીમાં 2 ખેડૂતોનું મૃત્યુ થયું છે અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે.' રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંઘના નેતા ગજેન્દ્ર ટોકસે કમિશ્નરની વાતનું પુરનાવર્તન કરતાં કહ્યું કે, 'ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. ખેડૂતો પાસે કોઇ હથિયારો નહોતા.'

ભાજપ-કોંગ્રેસ સામસામે
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કાયદાકીય તપાસનો આદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'સરકાર ખેડૂતોની સાથે છે, કોંગ્રેસ પાર્ટીએ ષડયંત્ર રચી હિંસા ભડકાવવાનું કામ કર્યું છે, ઘણા કોંગ્રેસ નેતાઓ આવું કરી ચૂક્યા છે.' કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કહ્યું કે, 'ભાજપના ન્યૂ ઇન્ડિયામાં આપણા અન્નદાતાઓને હક માંગતા ગોળી મળે છે? સરકાર દેશના ખેડૂતો સાથે યુદ્ધ કરી રહી છે.' કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, 'અમે મધ્ય પ્રદેશના લોકોને તેમના રાજ્યમાં ખેડૂતો સાથે ઘટેલ દુર્ઘટનામાં ખેડૂતોનું સમર્થન કરવાની અપીલ કરી છે.' તેમણે આગળ કહ્યું કે, 'કાલે મધ્ય પ્રદેશ સંપૂર્ણ રીતે બંધ હોવું જોઇએ.'

મૃતકોના પરિવારને મળશે વળતર
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવાર માટે પહેલા 5 લાખ, પછી 10 લાખનું વળતર આપવાની ઘોષણા કરી, હવે આ રકમ વધારીને 1 કરોડ થઇ છે અને પરિવારમાંથી એકને નોકરી આપવાની ઘોષણા કરવામાં આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 5 લાખનું વળતર અને મફત સારવાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ મંદસૌર ગોળીબારમાં મરનાર લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

આશ્વાસન બાદ પણ ચાલુ છે આંદોલન
રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંઘે આ ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં રેલી કાઢી હતી, તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર આરોપ મુક્યો હતો કે, તેમણે ખેડૂતો સાથે દગો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાં ભાજપ સરકાર તરફથી ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ બધા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી. આ કારણે ખેડૂતોને લાગી રહ્યું છે કે, તેમની સાથે દગો થયો છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શિવરાજે રવિવારે ઉજ્જૈનમાં ભારતીય ખેડૂત સંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી, અહીં તેમણે ખેડૂતોની ઘણી માંગણીઓ માની લીધી હતી. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, કાંદા 8 રૂપિયા/કિલોના ભાવે ખરીદવામાં આવશે, મંડીમાં ખેડૂતોની ઉપજની 50 ટકા ચૂકવણી કરી દેવામાં આવશે અને બાકી બચેલ રકમ બેંકમાં જમા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
