આસારામના મામલે ધીમી કાર્યવાહી માટે ગુજ.સરકારની ઝાટકણી
સોમવારે આસારામના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ધીમી કાર્યવાહી માટે ગુજરાત સરકારને સવાલ કરવામાં આવ્યા હતા.
આસારામ બાપુ છેલ્લા 4 વર્ષથી બળાત્કાર કેસમાં જોધપુર જેલમાં કેદ છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે પણ કડકાઇ દર્શાવી રહી છે. સગીરા પર બળાત્કારના કેસમાં સજા કાપી રહેલ આસારામની જામીન અરજી સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ આ મામલે ધીમી કાર્યવાહી માટે ગુજરાત સરકાર તરફ લાલ આંખ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને સવાલ કર્યો છે કે, હજુ સુધી પીડિતાની પૂછપરછ કેમ કરવામાં આવી નથી? જસ્ટિસ એન.વી.રમન્ના અને અમિતવા રોયની બેંચ દ્વારા ગુજરાત સરકારને આ મામલે દિવાળી પછીની આગામી સુનવણી માટે એફિડેવિટ દાખલ કરી જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 12 એપ્રિલના રોજ ગુજરાતની ટ્રાયલ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, આસારામના કેસ મામલે પ્રોસિક્યૂશન દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાની તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા પીડિતાઓ સહિત 46 સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવાનો આદેશ આપાવમાં આવ્યો હતો.
દુષ્કર્મના આરોપી આસારામ છેલ્લા 4 વર્ષથી જેલમાં બંધ છે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામની જામીન અરજી ફગાવવામાં આવી હતી, તે સમયે આસારામ દ્વારા ખરાબ તબિયતના નામે જામીનની અરજી કરવામાં આવી હતી. 30 જાન્યુઆરીના રોજ આ અરજીની સુનવણીમાં આસારામે નકલી કાગળિયા રજૂ કર્યા હોવાની જાણ થતાં એ કાગળિયા તૈયાર કરનાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું.