વિપક્ષી પાર્ટીઓની બેઠક પટનામાં જે કેમ? જાણો શું કહ્યું મમતા બેનર્જીએ?
2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને કેન્દ્રની સત્તામાંથી હટાવવા વિપક્ષોએ કમર કસી છે. આ ક્રમમાં આજે પટનામાં વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓને નીપટવા માટે રોડમેપ પર ચર્ચા થઈ.
આ બેઠક બાદ તમામ વિપક્ષી નેતાઓએ એક સાથે મીડિયા સામે આવ્યા અને પ્રેસ કોન્ફ્રન્સ કરી. આ પ્રેસ કોન્ફ્રન્સમાં મમતા બેનર્જીએ પટનામાં બેઠક યોજવા પાછળના કારણનો ખુલાસો કર્યો.

ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પટનામાં મીટિંગનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું. તેમણે જણાવ્યુ કે, મેં નીતીશ કુમારજીને પટનામાં મીટિંગ માટે કહ્યું હતું, કારણ કે અહીંથી ઘણા જન આંદોલનો શરૂ થયા છે.
મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, દિલ્હીમાં ઘણી બેઠકો થઈ પરંતુ કોઈ નિર્ણય ન આવ્યો. તેથી બેઠક માટે પટના શ્રેષ્ઠ હતું. અહીં બેઠકમાં ત્રણ બાબતો પર સહમતિ બની હતી. પ્રથમ આપણે બધા એક છીએ. બીજું અમે સાથે મળીને લડીશું. ત્રીજું અમારી લડાઈ વિપક્ષ માટે નહીં પરંતુ દેશની જનતા માટે છે.
મમતા બેનર્જીએ બીજેપી અને મોદી સરકારના તાનાશાહી વલણ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જો બીજેપી ફરી સત્તામાં આવશે તો દેશમાં ચૂંટણી ખતમ થઈ જશે. કેન્દ્ર સરકાર વીસીની નિમણૂક કરીને તાનાશાહી કરે છે. કેન્દ્ર જે ઈચ્છે તે કરે છે. જે વિરોધ કરે તેની પાછળ સીબીઆઈ અને ઈડી લગાવે છે.
અહીં મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ફરી એકવાર શિમલામાં બેઠક કરીશું અને બીજેપીની નીતિઓનો વિરોધ કરીશું. ભાજપ ઈતિહાસ બદલવા માંગે છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ઈતિહાસ બિહારથી બને.












Click it and Unblock the Notifications
