'દરેક મસ્જિદમાં કેમ શોધવા શિવલિંગ?', જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે બોલ્યા મોહન ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે મોટુ નિવેદન આપ્યુ છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં વીડિયોગ્રાફી બાદ હિંદુ પક્ષકારો તરફથી શિવલિંગ મળવા સાથે તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ટિપ્પણી કરી છે. તેમણે આ મામલે પરસ્પર સમજૂતીના માધ્યમથી ઉકેલ લાવવાનુ આહ્વાન કર્યુ છે. સંઘ પ્રમુખે સવાલ કર્યો કે આપણે દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ શોધવા જઈએ?
ગુરુવારે મોહન ભાગવત આરએસએસના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંબોધન આપી રહ્યા હતા. તેમણે કહ્યુ કે આપણને કેટલીક જગ્યાઓ માટે વિશેષ આદર છે જેની વાત કરવામાં આવી હતી. હવે આપણે ધર્મને લઈને રોજ કોઈ નવી વાત લાવવી જોઈએ નહિ. મોહન ભાગવતે કહ્યુ કે આપણે વિવાદ ન વધારવો જોઈએ. આપણને જ્ઞાનવાપીમાં શ્રદ્ધા છે અને તે પ્રમાણે કંઈક કરી રહ્યા છીએ પણ દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ શા માટે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યુ કે જ્ઞાનવાપીનો એક ઈતિહાસ છે. આપણે તેને બદલી શકતા નથી. પણ આપણે રોજ મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવુ પડે છે? લડાઈ શા માટે વધારવી?
આરએસએસના વડાએ વધુમાં કહ્યુ કે આપણે જ્ઞાનવાપીનો ઈતિહાસ નથી બનાવ્યો. ઇસ્લામ આક્રમણકારોના હાથમાં આવ્યો. હજારો મંદિરો તોડવામાં આવ્યા. તેમણે કહ્યુ કે મુસ્લિમોના પૂર્વજો પણ હિંદુ હતા. ભાગવતે કહ્યુ કે રામજન્મભૂમિનુ આંદોલન હતુ. તે પૂર્ણ થયુ, હવે આપણે આંદોલન નથી કરવુ. મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે જ્ઞાનવાપી વિશે આદર અને પરંપરાઓ છે પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવુ?