શા માટે ચાલુ મતદાને રાહુલને આવવું પડ્યું અમેઠી?
આજે અમેઠી બેઠક સહિત સાત રાજ્યોના 64 ચૂંટણી ક્ષેત્રોમાં આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. બધાની નજર અમેઠી બેઠક પર છે, કારણ કે ગાંધી પરિવારની સેફ બેઠક ગણાતી બેઠક પર આ વખતે રાહુલ ગાંધીને બે જાણીતા ચહેરા ટક્કર આપી રહ્યાં છે. એક છે ભારતીય જનતા પાર્ટીના તેજાબી નેતા અને ટીવી અભિનેત્રી સ્મૃતિ ઇરાની તો બીજી તરફ પોતાની કવિતાઓથી લોકપ્રીય બનેલા આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ.
સામાન્ય રીતે જોઇએ તો આ બેઠક પર ગાંધી પરિવારનો પ્રભાવ સારો છે અને તેઓ વર્તમાન સાંસદ છે, તેથી પ્રભાવને જોતા રાહુલની જીત થશે તેવુ અનુમાન લગાવી શકાય છે, તેમ છતાં જે પ્રકારે દેશભરમાં મોદીએ એક ભાજપ તરફથી તેમા પણ ખાસ કરીને પોતાના તરફી લહેર ઉભી કરી છે, તેને લઇને ક્યાંકને ક્યાંક ગાંધી પરિવારમાં પણ એ હાઉ પેદા થઇ ગયો છેકે ક્યાંક આ લહેરમાં તેમની આ સૌથી સેફ સીટ પણ હાથમાંથી સરી ના જાય અને કોંગ્રેસનો ચહેરો બની રહેલા રાહુલ ગાંધીનો પરાજય ના થાય. રાહુલ ગાંધીને અમેઠમાંથી ભારે સરસાઇ સાથે વિજયી બનાવવા માટે તેમના બહેન પ્રિયંકા પણ મેદાને એટલા અર્થે જ ઉતર્યા હતા, કારણ કે તેઓ પણ હાલના રાજકારણના માહોલનો તાગ જાણી ચૂક્યા છેકે જો દેશના અન્ય વિસ્તારોની જેમ અમેઠીની જનતા પણ મોદી પ્રવાહમાં વહી જશે તો રાહુલ ગાંધીને પરાજયનો સ્વાદ ચાખવો પડશે.
આજે જેટલી બેઠક પર મતદાન થઇ રહ્યું છે, તેમાં અમેઠીની બેઠક સૌથી ચર્ચામાં છે, જેનું કારણ એક તરફ મતદાન થઇ રહ્યું છે તો બીજી તરફ ઉમેદવાર રાહુલ ગાંધી પણ હાલ મતદાન દરમિયાન ત્યાં જ હાજર છે. આ પહેલીવાર બની રહ્યું છેકે રાહુલ ગાંધી ચૂંટણી દરમિયાન અમેઠીમાં હાજર હોય. રાહુલ અમેઠીમાંથી બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે, 2004 અને 2009માં. આ બન્ને વખત રાહુલ ગાંધીનો વિજય થયો હતો, પરંતુ તેઓ ક્યારેય ચાલું મતદાને અમેઠીમાં આવ્યા નહોતા. ત્યારે આ વખતે એવું તે શું બન્યું કે રાહુલ ગાંધીએ ચાલું મતદાને અમેઠીમાં હાજર રહેવું પડ્યું અને લોકોને મળવું પડ્યું. તો ચાલો તસવીરો થકી તેમના આ પગલાં સાથે જોડાયેલા કેટલાક તથ્યો અંગે જાણીએ.

મોદી દ્વારા કરવામાં આવેલી સભા
અમેઠીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે, આ બેઠક પર કોંગ્રેસ બે જ વખત ચૂંટણી હાર્યું છે 1977 અને 1999. સોનિયા ગાંધી, સંજય ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને વિજયી બન્યા છે, તેમજ રાહુલ ગાંધી આ બેઠક પર બે વાર ચૂંટાયા છે. ત્યારે આ વખતે ભાજપે રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે, ભાજપ માટે આ બેઠક પર વિજયને સુનિશ્ચિત કરવી જરૂરી છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી દ્વારા આ બેઠક પર ચૂંટણી સભા કરવામાં આવી છે. મોદી દ્વારા ચૂંટણી સભા કરવામાં આવતા ગાંધી પરિવાર હરકતમાં આવી ગયું છે, તેમને પણ એ વાતનો અંદેશો મળી ગયો છેકે ભાજપ આ બેઠકને હડપવા માગે અને તેથી રાહુલ ગાંધીને વિજયી બનાવવા પ્રિયંકા ગાંધી મેદાને ઉતર્યા હતા. આ એક કારણ પણ હોઇ શકે છેકે રાહુલ આજે અમેઠીમાં શા માટે હાજર છે.

રાહુલની સતત અમેઠીમાં ગેરહાજરી
અમેઠીમાં સાંસદ હોવા છતાં રાહુલ ગાંધીની અમેઠીમાં ગેરહાજરી જોવા મળતી રહી છે. જે પ્રકારનો પ્રચાર ભાજપ દ્વારા અને આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે પ્રમાણે અમેઠીમાં રાહુલ ગાંધી સાંસદ હોવા છતાં પણ વિકાસ થયો નથી. જેથી ક્યાંકને ક્યાંક જનતામાં એ વાતનું દુઃખ છેકે જે પરિવાર પર તેઓ વર્ષોથી ભરોસો દર્શાવી રહ્યાં છે એ પરિવાર દ્વારા તેમના માટે જોઇએ તેવું ખાસ કાર્ય કરવામાં આવ્યું નથી. આ બાબત પણ ક્યાંકને ક્યાંક રાહુલ ગાંધીને ભયભીત કરી રહી છેકે વિરોધીના પ્રચારથી ભ્રમિત થઇને મતાદાતાઓ તેમની વિરુદ્ધમાં મતદાન ના કરે.

જીતના વિશ્વાસ સાથે હારનો ભય
એ વાતમાં જરા પણ બે મત નથી કે ઇતિહાસ પર નજર ફેરવીએ તો રાહુલ ગાંધીનો વિજય નિશ્ચિત મનાય છે, કારણે કે 2004 અને 2009માં તેઓ ભારે બહુમતથી આ બેઠક પર વિજયી થયા હતા. તેમને આ બેઠક પર જીત મેળવવાનો વિશ્વાસ છે, પરંતુ સાથે જ હારવાનો ભય પણ તેમને અંદર ખાને સતાવી રહ્યો છે. મોદી દ્વારા અમેઠીમાં સભા કરીને રાહુલ ગાંધીના આ ભયને વધુ ઉજાગર કર્યો છે. મોદીએ અમેઠીમાં સ્મૃતિ ઇરાનીને પોતાની નાની બહેન ગણાવી ત્યાંના મતદાતાઓને લુભાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ મોદી વિકાસની વાતો કરતા હોવાથી અમેઠીની જનતા આ વખતે ભાજપ પર વિશ્વાસનો કળશ ઢોળે તો રાહુલ માતે મુશ્કેલી સર્જાઇ શકે છે, તેથી તેઓ મતદાન દરમિયાન અમેઠીમાં હાજર રહ્યાં છે.

મતદાન દરમિયાન હાજર રહીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ
ક્યાંકને ક્યાંક રાહુલને એ વાત પણ સતાવી રહી છેકે દેશભરની જનતાની જેમ અમેઠીની જનતા પણ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી તથા પ્રાથમિક વિકાસને લઇને કોંગ્રેસથી નારાજ હોઇ શકે છે અને મોદી દ્વારા કરવામાં આવેલી સભા અને વિકાસનો આપેલો વાયદો આ નારાજગીને જ્વાળા બનાવી શકે છે, તો બીજી તરફ કુમાર વિશ્વાસ દ્વારા જે પ્રકારનું અભિયાન ગ્રાઉન્ડ લેવલે કરવામાં આવ્યું છે, તે પણ રાહુલ માટે એક મુસિબત સમાન છે, તેથી મતદાન દરમિયાન અમેઠીની જનતાને મળીને તથા તેમની સાથે ચાની ચૂસકી લગાવીને રાહુલ ગાંધી જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
