2019 પહેલા કોંગ્રેસનો મોટો દાવ, સત્તામાં આવ્યા તો બ્રાહ્મણોને આપશે 10% અનામત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ એલાન કર્યુ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશની અંદર એક ‘બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ' ની રચના કરવામાં આવશે.
2019 ની લોકસભા ચૂંટણી પહેલા એસસી-એસટી એક્ટ અંગે દેશમાં રાજકારણ ગરમાવા લાગ્યુ છે. એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સમાજે 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરીને નરેન્દ્ર મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. વળી, કોંગ્રેસે આ બધા વચ્ચે એક મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ એલાન કર્યુ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશની અંદર એક 'બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ' ની રચના કરવામાં આવશે. સૂરજેવાલાના આ નિવેદનને કોંગ્રેસનો આ રાજકીય પેંતરો માનવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ડીએનએમાં બ્રાહ્મણ સમાજનું ખૂન
હરિયાણાના કુરુક્ષેત્રમાં બ્રહ્મસરોવર તટ પર આયોજિત બ્રાહ્મણ સંમેલનમાં પહોંચેલા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યુ, ‘મારા એક સાથીએ કહ્યુ કે તમે કોંગ્રેસના ઝંડા નીચે બ્રાહ્મણ સમાજનું સમેલન કેમ કરી રહ્યા છો, તો હું જવાબ આપવા ઈચ્છુ છુ કે બ્રાહ્મણ સમાજનું લોહી કોંગ્રેસના ડીએનએમાં છે. જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશની અંદર એક બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે. આ બોર્ડના ચેરમેન પણ બ્રાહ્મણ સમાજના વ્યક્તિને જ બનાવવામાં આવશે. સ્વાભાવિક જ્ઞાન હંમેશા બ્રાહ્મણો પાસે રહ્યુ છે. કારણકે પૈસા ક્યારેય બ્રાહ્મણોનું જ્ઞાન ખરીદી શક્યા નથી.'
આ પણ વાંચોઃ ‘યુવતી પસંદ હોય તો કોલ કરજો, કિડનેપ કરીને લઈ આવીશ': ભાજપ ધારાસભ્ય
‘બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની કરશે રચના'
રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યુ, ‘કોંગ્રેસ જો સત્તામાં આવી તો બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની રચના કરીને તેના માટે 300 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત કરવામાં આવશે. બ્રાહ્મણ સમાજની અંદર એવા ઘણા પરિવાર છે જે હાલના સમયમાં આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ કેન્દ્રની સરકારને તેમની બિલકુલ ચિંતા નથી. બ્રાહ્મણ કલ્યાણ બોર્ડના 300 કરોડ રૂપિયાના બજેટમાંથી કોંગ્રેસ તે પરિવારોની મદદ કરશે. બોર્ડના બજેટમાંથી ગરીબ બ્રાહ્મણ પરિવારના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. જો કોંગ્રેસને સત્તામાં આવવાની તક મળી તો હાલની અનામત નીતિને છેડ્યા વિના પક્ષ બ્રાહ્મણ સમાજ માટે 10 ટકા સુધીની અનામતની વ્યવસ્થા કરશે.'
6 સપ્ટેમ્બરે સવર્ણોનું ભારત બંધનું એલાન
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રિમ કોર્ટે પોતાના એક આદેશમાં એસસી એસટી એક્ટના દૂરુપયોગ પર ચિંતા વ્યક્ત કરતા આ પ્રકારના મામલામાં તત્કાલ ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ દેશભરમાં આંદોલનો કર્યા. ત્યારબાદ કેન્દ્ર સરકારે સંસદમાં કાયદો બનાવીને આ એક્ટને મૂળ સ્વરૂપમાં પાછો લાવી દીધો. હવે સવર્ણ સમાજના લોકો સરકારના આ પગલાં સામે દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સવર્ણ સમાજના લોકોએ 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કર્યુ છે.
આ પણ વાંચોઃકૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'