Uttar Pradesh 3rd Phase: યૂપી ચૂંટણીમાં આજે 'યાદવ બેલ્ટ'નો વારો, અખિલેશ યાદવની પ્રતિષ્ઠા દાવ પર
Uttar Pradesh 3rd Phase: યૂપી ચૂંટણીમાં આજે 'યાદવ બેલ્ટ'નો વારો, અખિલેશ યાદવની પ્રતિષ્ઠા દાવ પર
આકરી સુરક્ષા વચ્ચે આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આજે અહીં 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પાછલા બે તબક્કા અંતર્ગત 10 અને 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. અત્યાર સુધી ઉત્તર પ્રદેશની 113 સીટ પર ઉમેદવારોની કિસ્મત ઈવીએમમાં બંધ થઈ ચૂકી છે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે ક્ષેત્ર યાદવ બેલ્ટના નામે ઓળખાય છે. આ વિસ્તારોને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવીછે.
જણાવી દઈએ કે બુંદેલખંડથી અવધ ક્ષેત્ર સુધીના 16 જિલ્લામાં ફેલાયેલ 59 વિધાનસભા ક્ષેત્રોમાંથી સૌથી વધુ ચર્ચા મૈનપુરીની કરહલ સીટ છે, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ યાદવ મેદાનમાં છે. જો કે આ વખતે તેમની સામે ભાજપ ઉમેદવાર એસ પી સિંહ બધેલને ઉતાર્યા બાદ અહીં લડાઈ ભારે રોચક થઈ ગઈ છે. આ વિધાનસભા સીટ પર 3 લાખ 70 હજાર મતદાતા છે. જેમાંથી 1 લાખ 40 હજારથી વધુ યાદવ મતદાતા છે જ્યારે 14 હજાર મુસ્લિમ મતદાતા છે.
મૈનપુરી સપાને વફાદાર
હંમેશાથી જ મૈનપુરી સપાને વફાદાર છે પરંતુ ભાજપે આ વખતે તેમનો કિલ્લો ભેદવાની પૂરી કોશિશ કરી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આ વિસ્તારોમાં બે રેલી કરી ચૂક્યા છે. જ્યારે અખિલેશના કાકા શિવપાલ યાદવ ઈટાવાના જસવંતનગર સીટથી ચૂંટણી જંગમાં છે.
જો 2017ની વાત કરીએ તો ભાજપે આ જગ્યાએ પાછલી વખતે ચમક્તારી પ્રદર્શન કર્યું હતું, તેમણે અહીં 49 સીટ પર જીત નોંધાવી હતી, જ્યારે સપાના ખાતામાં માત્ર 9 સીટ આવી હતી અને એક સીટ કોંગ્રેસ પાસે ગઈ હતી. આ સપાનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જ્યારે બસપાના હાથમાં ઝીરો હતો. મોદી લહેરે સપાને ખરાબ રીતે પરાસ્ત કર્યા હતા પરંતુ શું ફરી એકવાર ભાજપ અહીં સાઈકલમાં પંચર પાડવામાં સફળ રહેશે કે કેમ તે 10 માર્ચે જ જાણી શકાશે.
અખિલેશ યાદવની પ્રતિષ્ઠા પર દાવ
ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં પશ્ચિમી ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લા- ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, કાસગંજ, હાથરસ: જ્યારે અવધ ક્ષેત્રના છ જિલ્લા- કાનપુર, કાનપુર દેહાત, ઔરૈયા, કન્નૌજ, ઈટાવા, ફર્રુખાબાદ અને બુંદેલખંડ વિસ્તારના પાંચ જિલ્લા- ઝાંસી, જાલૌન, લલિતપુર, હમીરપુર અને મહોબા સામેલ છે, જ્યાં આજે મતદાન થઈ રહ્યું છે.