અમિત શાહના પુત્ર જય શાહને કેમ ભાજપ બચાવે છે?: યશવંત સિંહા
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ અમિત શાહના પુત્ર જય શાહ મામલે ભાજપ પર કરી ટકોર. સાથે પીયૂષ ગોયલ અને ભાજપના નેતાઓનો નીકાળ્યો વાંક. વધુ વાંચો અહીં
ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા હાલ ભાજપ જોડે લડી લેવામાં મૂડમાં લાગે છે. નોટબંધી પર લેખ અને વિવાદ બાદ જય શાહના મુદ્દે પણ યશવંત સિંહાએ પોતાની સ્પષ્ટ રાય આપી છે. ઉલ્લેખનીય છે કે એક વેબસાઇટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરને લઇને કેટલાક આરોપો કર્યા છે. તેમાં હવે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા પણ પોતાનો મત મૂક્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ પાર્ટીની છબીને બગાડી રહી છે. વધુમાં તેમણે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનો પણ વાંક નીકાળ્યો. ઉલ્લેખનીય છે કે જય શાહના બચાવમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફર્ન્સ કરીને સ્પષ્ટતા આપી હતી. આ મામલે પીયૂષ ગોયલ પર બોલતા યશંવત સિંહાએ કહ્યું કે પીયૂષની સ્પષ્ટતા તેવી લાગતી હતી જાણે કે તે એ કંપનીના સીઇઓ હોય અને તેને બચાવવા સામે આવ્યા હોય.
સાથે જ તેમણે કહ્યું કે ધ વાયર વેબસાઇટ વિરુદ્ધ માનહાનિનો દાવો કરવો પણ મીડિયા અને દેશ માટે ઠીક નથી. સરકારે આ મામલે તપાસ કરાવવી જોઇએ. સાથે જ યશવંત સિંહાએ કહ્યું કે ભાજપ તેનો નૈતિક આધાર ખોઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દ વાયર નામની વેબસાઇટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવર મામલે એક લેખ લખી કેટલાક આક્ષેપ કર્યા છે. જે મુજબ જય શાહની કંપનીએ નાણાંકીય વર્ષ 2015-16 દરમિયાન 16,000 ગણો એટલે કે 80 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યો છે. આ મામલે આજે જય શાહના વકીલ કોર્ટમાં હાજર ન રહેતા આ મામલે સુનવણી 16 ઓક્ટોબર ટળી છે. ઉલ્લેખનીય છે કે જય શાહે આ મામલે 100 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે