જામનગર: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સીસી રોડનું લોકાર્પણ કર્યું
Jamnagar: રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના હાપા ગામમાં 2 કિમીની લંબાઈ ધરાવતા રૂપિયા 1.5 કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કૃષિ મંત્રીએ જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામથી અલિયાબાડા ગામને જોડતા રૂપિયા 4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મોટા થાવરીયાથી અલિયાબાડા ગામોની વચ્ચે હુડકો નદીની ઉપર 12 મીટરના 6 ગાળા ધરાવતા મેજરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના હાપા ગામમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, મેટલ કામ, માટી કામ, સ્લેબ ડ્રેઈન, રોડ રિસરફેસિંગ અને અન્ય જરૂરી કામગીરી સાથોસાથ પૂર્ણ કરવામાં આવી છે. આ નવો રસ્તો બનવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે.
મોટા થાવરિયા મુકામે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના અલિયાબાડાથી મોટા થાવરિયા ગામોને જોડતા મેજર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલ્દીથી પહોંચી શકશે.
તાજેતરમાં રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે રોડ રિકાર્પેટિંગ, ખીમારાણા ગામમાં કોઝ-વે અને ખીમારાણાથી મોટા થાવરિયા ગામને જોડતા નવા રસ્તાના વિકાસ કાર્યો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર છૈયાભાઈ, હાપા સરપંચ મહેશભાઈ, મોટા થાવરીયા સરપંચ કરસનભાઈ, અગ્રણી ભરતભાઈ બોરસદિયા, મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ, અન્ય પદાધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
