જૂનાગઢ ભવનાથ મેળાને લઈને મોટા સમાચાર, ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ ઘટ્યા
જૂનાગઢમાં આયોજિત થનારા ભવ્ય મહાશિવરાત્રી મેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્રના સહયોગથી ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે યાત્રિકો માટે ટિકિટના દરોમાં વિશેષ રાહત આપવાની જાહેરાત કરી છે.
ભક્તો હવે જીએસટી સાથે માત્ર 630ના રાહત દરે ગિરનારની યાત્રાનો આનંદ માણી શકશે. આ વિશેષ ઓફર આગામી 11 થી 15 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે, જેથી વધુ ભક્તો દર્શન કરી શકે.

રોપ-વે સેવાનો લાભ સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી લઈ શકાશે. જોકે, સાંજે 4:00 વાગ્યા પછી મુસાફરોને માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે તેવું મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે.
બીજી તરફ, લાખોની જનમેદનીને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ અત્યારે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભવનાથ તળેટી અને આસપાસના તમામ અખાડાઓમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે ડોગ સ્કવોડની મદદથી સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરાયું છે.
આ દરમિયાન, ઓઘડની ટૂંક પર અન્ય સંપ્રદાયનો ધ્વજ ફરકાવવાના વિવાદમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નાથ સંપ્રદાયની લાગણી દુભાવવા બદલ બે અજાણ્યા શખ્સો સામે ભવનાથ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાના આધારે પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ધાર્મિક વૈમનસ્ય ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપી છે.












Click it and Unblock the Notifications
