જૂનાગઢમાં કેશોદ નગરપાલિકામાં વેરા વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી ઉતરી મેદાને
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેતનધારકોના વેરામાં 10 ટકાનો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેતનધારકોના વેરામાં 10 ટકાનો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. કેશોદ કોંગ્રેસના હોદ્દેદારો અને સભ્યો દ્વારા લેખિતમાં ફરિયાદ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કેશોદ નગરપાલિકાના ચીફ ઑફિસરને રજૂઆત કરતા કેશોદના શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અજીત સિંહ વેગડાએ જણાવ્યુ હતુ કે કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને અતિ મધ્યમ વર્ગના વેપારીઓ અને શહેરીજનો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ રાહતો આપવામાં આવી છે. આવા સંજોગોમાં રાહત મળે તે જરૂરી છે.
Recommended Video
કોરોના મહામારી કાબુમાં લેવા માટે કેશોદ શહેરના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરી કોરોનાનુ સંક્રમણ અટકાવવા સાંકળ તોડવા માટેનો સહકાર આપ્યો હતો. પરિણામે કેશોદ શહેરમાં કોરોના મહામારીને નાથવામાં સફળતા મળી છે. કેશોદમાં આવેલી તમામ વાણિજ્ય હેતુની મિલકતોમાં વેરામાં 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ કરી હતી. કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા રજૂ કરેલ લેખિત ફરિયાદના અંતે જણાવ્યુ છે કે ત્રણ દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવીને વેરામાં ઘટાડો કરવામાં નહિ આવે તો શહેરીજનોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેશોદ નગરપાલિકા દ્વારા સૌથી વધુ વેરા વસૂલવામાં આવે છે ત્યારે કેશોદ શહેર કોંગ્રેસ મેદાનમાં ઉતરતા શહેરીજનો સાથે રહેશે કે નહિ એ આવનારા દિવસોમાં જ ખબર પડશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ જણાવ્યુ કે અમારી સાથે કેશોદ કોંગ્રેસની સમગ્ર ટીમ, કેશોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશ્વિનભાઈ કટારિયા, વિરોધ પક્ષના નેતા અજીતભાઈ વેગડ, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી અને સમગ્ર કોંગ્રેસની ટીમે આજે કેશોદ શહેરમાં કોરોના મહામારીમાં પણ 10 ટકા સુધીનો જે વેરો વધારવામાં આવ્યો તે સંદર્ભે ચીફ ઑફિસરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે અત્યારે શહેરીજનો કોરોનાના કારણે ઉભી થયેલી આર્થિક સંકડામણના કારણે દુવિધા અનુભવી રહ્યા છે. નગરપાલિકામાં આજે 30 જેટલી સીટો ભાજપને આપી હોવા છતાં તેનુ પરિણામ શૂન્ય આવ્યુ છે. આવનારા 3 દિવસોમાં જો આ 10 ટકા વેરો પરત ખેંચવામાં નહિ આવે અને વર્ષ 2020-21નો સંપૂર્ણ વેરો માફ કરવામાં નહિ આવે તો અમે ઉપવાસ અને પ્રતીક ઉપવાસ પર ઉતરીશુ. કેશોદ નગરપાલિકાના સભાખંડમાં ભાજપ સંગઠનની મીટિંગ થાય છે તેમ જાણવા મળ્યુ છે. અમે ચીફ ઑફિસરને રજૂઆત કરી છે કે સભાખંડમાં કોઈ પાર્ટીની મીટિંગ યોજવા ન દેવી અથવા કોંગ્રેસને પણ સંગઠનની મીટિંગ યોજવાની મંજૂરી આપવી.