સિંહની પજવણી કરનારા 3 યુવાનોને જેલ હવાલે કરાયા
ગીર સોમનાથના જસાધાર રેન્જ વિસ્તારમાં સિંહની પજવણી કરવાના ગંભીર મામલામાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. વેરાવળના ત્રણ યુવાનોને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાબરીયા રેન્જના અધિકારી દ્વારા આ ત્રણેય યુવકોને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે તેમને જસાધાર RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને સોંપવામાં આવ્યા હતા.

વન વિભાગને આ યુવાનો પર શંકા જતા તેમના મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન યુવાનોના મોબાઈલમાંથી સિંહની પજવણી કરતા હોવાના વીડિયો ફૂટેજ મળી આવ્યા હતા, જેના આધારે આખો મામલો ખુલ્લો પડ્યો હતો.યુવકોના મોબાઇલ ચેક કરતા માત્ર જસાધાર રેન્જના જ નહીં, પરંતુ બાબરીયા રેન્જ વિસ્તારમાં પણ સિંહની પજવણી કરવામાં આવી હોવાના વીડિયો પણ મળી આવ્યા હતા.
વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ આ કૃત્ય ગંભીર ગુનો ગણાય છે.વન વિભાગે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને તેમના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ ત્રણેય યુવાનોને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણીની તારીખ 27મી ઓક્ટોબરના રોજ થશે.
વન વિભાગે આ મામલે આરોપીઓની કાર અને ગુનો આચરવામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન પણ કબ્જે લીધા છે. વન વિભાગ દ્વારા ગીરમાં વન્યપ્રાણીઓની પજવણી કરનારા તત્વો સામે કાયદાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ કાર્યવાહી વન્યજીવ સંરક્ષણ પ્રત્યે સખ્ત વલણ દર્શાવે છે.












Click it and Unblock the Notifications
