જૂનાગઢના ઐતિહાસિક સુદર્શન તળાવનો ભૂસાયો ભૂતકાળ!
જૂનાગઢમાં એવા કેટલાય ઐતિહાસિક સ્થળો છે, જે પોતાની ભવ્યતા કાળની ગર્તામાં ડૂબાવીને બેઠા છે, કદાચ તેના લીધે જ તેનો ભૂતકાળ ભુસાયો છે અથવા આપણે ખુદ તે ભૂતકાળ ભૂસી નાંખ્યો છે.
હાલ જૂનાગઢ પ્રવાસન ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં આમ તો ઘણાં સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તે પછી ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો હોય કે પવિત્ર યાત્રાધામ ગિરનાર હોય. અહીં બારે માસ પ્રવાસીઓનો પ્રવાહ અવિરત વહ્યા કરે છે. તેમાં પણ ગિરનાર રોપ-વેની શરૂઆત થતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બધા વચ્ચે હાલમાં જ ઐતિહાસિક બિલ્ડિંગ બહાઉદ્દીન કોલેજની હેરિટેજ સ્મારક તરીકે ઘોષણા થતા જૂનાગઢના પ્રવાસમાં વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. આ સિવાય પણ જૂનાગઢમાં એવા કેટલાય ઐતિહાસિક સ્થળો છે, જે પોતાની ભવ્યતા કાળની ગર્તામાં ડૂબાવીને બેઠા છે, કદાચ તેના લીધે જ તેનો ભૂતકાળ ભુસાયો છે અથવા આપણે ખુદ તે ભૂતકાળ ભૂસી નાંખ્યો છે.
જૂનાગઢની ઓછી જાણીતી ધરોહર
જી હા જૂનાગઢના ગિરનાર તળેટીમાં ડુંગરો અને વનરાજીથી ઘેરાયેલુ સુંદર તળાવ તેનું કમનસીબ ઉદાહરણ છે. જેની ઐતિહાસિક ધરોહરની કદાય કોઇને ખબર પણ નહિ હોય. સદીઓ જૂનુ આ તળવા હાલતો તંત્રની અને લોકોની નિરસાતાનો ભોગ બન્યુ છે. જાળવણીના અભાવે આ સુંદર તળાવ સાવ વેરાન થઈ ગયુ છે. ગિરનાર તળેટી અને રોપ-વેની નજીક હોવા છતા લોકોને આ ઐતિહાસિક તળાવની જાણ સુદ્ધા નથી. જૂનાગઢ મહાનગર પાલિકાની ઉદાસિનતાને કારણે તળાવ કિનારે અવાવરૂ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જે આ ઐતિહાસિક તળાવની દયનીય સ્થિતિ વ્યક્ત કરે છે.
મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે નિર્માણ કરાવ્યુ હતું
જો સુદર્શન તળાવના ઇતિહાસની વાત કરીએ તો તે ગુજરાતનું પ્રથમ તળાવ કહી શકાય. જે સુવર્ણસિત્તા જે આજે સોનરખ નદી તરીકે ઓળખાય છે અને પલાશિની નદી જે લુપ્ત થઈ ગઈ છે તેને જોડીને તેનું નિર્માણ થયુ હતુ. ઇ.સ. પૂર્વે 302માં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગિનિનગર એટલે આજનું જૂનાગઢ વિકસાવવાની સાથે સિંચાઇ માટે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. જેનું રૂદ્રદામનના સુબા સવિશાખના હસ્તે પૂનઃ નિર્માણ કરવામાં આવ્યું હતુ, ઇ.સ. 450માં ફરી તૂટતા ઇ.સ. 456માં ગુપ્તવંશના સ્કંદગુપ્તના રાજ્યપાલ પર્ણદત અને તેના પુત્ર ચક્રપાલિતના હસ્તે સુદર્શન તળાવનું બીજીવાર નિર્માણ થયું. ત્યારથી લઇને આજ સુધી તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. અને હાલ તો જાળવણીના અભાવે તે ઝાડી ઝાંખરાઓમાં અદ્રશ્ય થઈ ગયુ છે.
હેરિટેજની વાતો વચ્ચે સુદર્શન તળાવની ઉપેક્ષા
આજે જ્યારે હેરિટેજ હેરિટેજની બૂમો પડી રહી છે ત્યારે આ ઐતિહાસિક તળાવની બૂમ તંત્રના કાને પડશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે. પરંતું સરકારની સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે પણ આપણે આપણા ભવ્ય અને ઐતિહાસિક વરસા પ્રત્યે સભાન થયું પડશે. જો એવું નહિ કરે એ તો આવા કેટલાય ઐતિહાસિક સ્મારકો ભૂતકાળના કાળમાં ભૂંસાઇ જશે.