દિલ્હી ગેંગરેપ : દિલ્હી સરકાર 15 લાખ રૂપિયા અને નોકરી આપશે
દિલ્હી, 1 જાન્યુઆરી: દિલ્હી સરકારે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મૃત યુવતિના પરિવારજનોને વળતરના રૂપમાં 15 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની સોમવારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શીલા દિક્ષિતના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું 'અત્યંત અસાધારણ સ્થિતીઓ અને અપરાધની બર્બરતાને જોતાં મંત્રીમંડળના પીડિતાના પરિવાર માટે 15 લાખ રૂપિયાની રાશિ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
એક અધિકારીએ કહ્યું હતું કે આ નિર્ણય મુખ્યમંત્રી શિલા દિક્ષિતની અધ્યક્ષતામાં યોજાયેલી એક મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધુ એક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે પીડિતાના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરની રાત્રે સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીનું શનિવારે રાત્રે સિંગાપુરની હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. રવિવારે સવારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.