કેજરીવાલ કરશે ધરણા, 5 મેટ્રો સ્ટેશન બંધ, કલમ 144 લાગૂ
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી પોતાના કેબિટનેટ અને ધારાસભ્યો સાથે ગૃહ મંત્રાલય પર ધરણા કરશે. અરવિંદ કેજરીવાલ પોતાના બે મંત્રી સોમનાથ ભારતી અને રાખી બિડલાના કહેવા પર કાર્યવાહી ન કરનાર દિલ્હી પોલીસના એસીપી અને ત્રણ એસએચઓને સસ્પેંડ કરવાની માંગણી કરી રહ્યાં છે. તેમને ગૃહ મંત્રાલયને સોમવારે સવારે 10 સુધીની ડેડલાઇન આપી છે.
અરવિંદ કેજરીવાલે ગૃહ મંત્રાલયની બહાર પ્રસ્તાવિત ધરણાને જોતાં દિલ્હી પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસે રવિવારે નવી દિલ્હી વિસ્તારમાં મનાઇ ફરમાવી દિધી છે. જેના લીધે કોઇપણ વિસ્તારમાં પાંચથી વધુ વ્યક્તિઓ એક સાથે ચાલી નહી શકે.
દિલ્હી પોલીસે જનસંપર્ક અધિકારી રાજન ભગતે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધ લાગૂ કરી દિધો છે. આ દરમિયાન જો કોઇ વ્યક્તિને કોઇપણ પ્રકારની સમસ્યા છે, તો તે ધરણાં કરવાના બદલે સ્થાનિક પોલીસ અધિકારી અથવા સ્થાનિક પોલીસ કમિશ્નરનો સંપર્ક કરી શકે છે.
દિલ્હી પોલીસે આ પગલાં સાવચેતીરૂપે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખતાં ભર્યા છે. જો કે 26 જાન્યુઆરીને હજુ છ દિવસ બાકી છે. શુક્રવારે અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સાથે મુલાકાત કરી માંગણી કરી હતી કે કાયદા મંત્રી સોમનાથ ભારતીની સાથે દિલ્હી પોલીસ અધિકારી દ્વારા સહયોગ ન કરવા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવે. પોતાની માંગણીને સ્વિકારવામાં નહી આવતાં તેમને ગૃહ મંત્રાલયની બહાર ધરણાંનું એલાન કર્યું છે.