12 વર્ષથી વધુ ઉંમરના બાળકનું રસીકરણ કરવાની તૈયારી, સરકારે જણાવી યોજના
એક તરફ દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. એવા સમયે લોકો પણ બાળકોની રસી માટે લાંબા સમયથી રાહ જોતા હતા.
નવી દિલ્હી : દેશમાં હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી આવી છે, જે બાળકો માટે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. એક તરફ દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. એવા સમયે લોકો પણ બાળકોની રસી માટે લાંબા સમયથી રાહ જોતા હતા.
હવે ZyCoV D 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ત્રણ ડોઝની રસી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. આ રસી 12 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવી છે.
હવે સરકારના રાષ્ટ્રીય સલાહકાર જૂથે બાળકોના રસીકરણને લગતી મોટી માહિતી આપી છે. NTAGI ના વડા એન. કે. અરોરાએ જણાવ્યું હતું કે, આ રસી પહેલા બાળકોને આપવામાં આવશે. જે પહેલાથી જ કોઈ ગંભીર રોગથી પીડિત છે. એન. કે. અરોરાએ જણાવ્યું હતું કે, પુખ્ત વયના લોકોની રસીકરણની પ્રાથમિકતા સાથે અમારું ધ્યાન બાળકોના રસીકરણ પર રહે છે, જે અંતર્ગત કોમોર્બિડિટીઝ (ગંભીર રીતે બીમાર) બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
NTAGI એ જણાવ્યું હતું કે, બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે. અરોરાએ કહ્યું કે, અમે સપ્ટેમ્બરથી દર મહિને 100 મિલિયન કોવેક્સીન ડોઝનો અંદાજ લગાવી રહ્યા છીએ. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ શુક્રવારના રોજ ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝની કોવિડ 19 DNA આધારિત રસીને 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ રસી દેશમાં મંજૂર થયેલી 6ઠ્ઠી વેક્સીન છે.
કંપનીએ જણાવ્યું કે, કંપની ZyCoV D ની વાર્ષિક 100 મિલિયનથી 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના ધરાવે છે અને રસીનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ સ્થિત જેનરિક દવા ઉત્પાદક કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV D માટે પરવાનગી માટે અરજી કરી હતી, જે 28,000થી વધુ સ્વયંસેવકો પર ટ્રાયલમાં 66.6 ટકા અસરકારક રહી હતી.