નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ દિલ્હી જશે, વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત
માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી 2014ની ચુંટણી પહેલાં મોટી ભૂમિકા ભજવશે અને પોતાના આ અભિયાનને મજબૂતી પુરી પાડવા માટે તે અત્યારથી જ પોતાના પક્ષમાં વાતાવરણ ઉભુ કરવામાં લાગી ગયા છે.
એક સમાચાર પત્રના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી આ અઠવાડિયે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ અવસર પર નરેન્દ્ર મોદી પોતાની વાત વહેતી મુકશે આ સાથે વહિવટી મુદ્દે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે. યુવાનો વચ્ચે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધારવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્રારા આ આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ અલ્હાબાદમાં ચાલી રહેલા કુંભ મેળામાં પાંચ-છ ફેબ્રુઆરીના રોજ એક સંમેલનમાં વિશ્વ હિન્દૂ પરિષદ અને સંઘ પરિવાર નેતા વડાપ્રધાન પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીના નામ પર ચર્ચા કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ 6 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ભાગ લેવાના છે.