મન કી બાત : PM મોદી કરશે મન કી બાત કરશે, કોરોના અને ટોક્યો ઓલિમ્પિક પર વાત કરે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી દ્વારા આ 79 મી મન કી બાત હશે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી દ્વારા આ 79 મી મન કી બાત હશે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન અને AIR ન્યૂઝ મોબાઇલ એપના આખા નેટવર્ક પર પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમમાં PM મોદી કોરોના મહામારી અને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભાગ લેવા ગયેલી ભારતીય ટીમ વિશે વાત કરી શકે છે.
ગત મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
78મી મન કી બાતની 27 જૂન, 2021ના રોજ થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેનારા ખેલાડીઓએ સખત મહેનત કરી છે. ખેલાડીઓ પર કોઈએ પણ જાણતા કે અજાણતાં દબાણ આપવું જોઈએ નહીં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓએ મુક્તમને ખેલાડીઓને સમર્થન આપીને પ્રોત્સાહન આપવું જોઈએ.
PM મોદીએ પોતાના સંબોધનમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. લિજેન્ડરી દોડવીર મિલ્ખા સિંહનું 19 જૂનના રોજ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું હતું.
વડાપ્રધાન મોદીએ કોરોના રસીના મુદ્દા પર વાત કરી
78મી મન કઈ બાતમાં વડાપ્રધાન મોદીએ કોરોના રસીના મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, ભારતે એક જ દિવસમાં લાખો લોકોને રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી છે, તેથી આપણે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને સમયસર રસી લેવી જોઈએ.
PM મોદીએ પોતાનું અને તેમની માતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, મેં રસીના બંને ડોઝ લીધા છે. મારી માતા લગભગ 100 વર્ષના છે, તેમને પણ રસીના બંને ડોઝ લીધા છે. રસી લીધા બાદ ઘણા લોકોને થોડા કલાકો માટે નજીવો તાવ આવે છે. આવા સમયે રસી ન લેવી વધુ જોખમી સાબિત થઈ શકે છે.