મનમાની કરતી શાળા સામે દિલ્હી સરકાર સખ્ત, ફી વધારતા માન્યતા રદ્દ કરાઈ
પોતાના શિક્ષા મોડલની દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે હવે તેની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સરકારે ફી વધારાને લઈને મોટી કાર્યવાહી કરી છે.
નવી દિલ્હી : પોતાના શિક્ષા મોડલની દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે હવે તેની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સરકારે ફી વધારાને લઈને મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, દિલ્હીના રોહિણીમાં આવેલી ડીપીએસ સ્કૃલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. દિલ્હી સરકારે વારંવાર ફી વધારાને લઈને આ કાર્યવાહી કરી છે.
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર તેના શિક્ષણ મોડલને લઈને ચર્ચામાં રહે છે ત્યારે હવે દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલય દ્વારા DPS રોહિણીની માન્યતા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માન્યતા રદ થવાથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન નહીં થાય. શાળાને નવા સત્ર 2023-24થી વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા કહેવાયુ છે.
દિલ્હી સરકાર શિક્ષણ અને શાળાઓમાં ફી વધારાને લઈને પહેલેથી જ સખ્ત છે ત્યારે હવે ફીને લગતા નિયમોનું પાલન ન કરાતા આ કાર્યવાહી કરાઈ છે. જારી કરાયેલા આદેશ અનુસા, શાળા પ્રશાસન 2021-22 દરમિયાન વધેલી ફી વસૂલ કરીને વિભાગ તેમજ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરી રહ્યાં ન હતા.આ શાળા દ્વારા 2020-21 માટે વધેલી ફી અંગેના વિવિધ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન પણ કરાઈ રહ્યું હતુ.
અહીં તમને જણાવી દઈએ કે, આ શાળા દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર સ્થિત છે. જમીન ફાળવણીના ધોરણો મુજબ, શાળાઓએ કોઈપણ ફી વધારો કરતા પહેલા શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.
આ બાબતે દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે કહ્યું કે, ફી વધારાની ફરિયાદો બાદ ડીપીએસને નોટિસ આપી હતી. જેનો જવાબ સંતોષકારક ન હોવાથી શિક્ષણ નિયામક કચેરીએ શાળાની માન્યતા રદ કરવાનો આદેશ જારી કર્યો છે. શાળાને 2022-23 સત્ર પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવશે. માન્યતા રદ કરવાથી અત્યારે ભણતા બાળકો પર કોઈ અસર થશે નહીં. સત્ર સમાપ્ત થયા પછી આ બાળકોને માતાપિતાની સંમતિથી અન્ય ડીપીએસ સોસાયટીની શાળા અથવા નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જો વાલીઓએ વધુ ફી ચૂકવી હશે તો DPSએ તાત્કાલિક અસરથી વધેલી ફી પરત કરવાની રહેશે. ડીપીએસ-રોહિણીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને ડીપીએસ સોસાયટીની અન્ય સંસ્થાઓમાં એડજસ્ટ કરવાના રહેશે.