રાજકોટ ગેમિંગ ઝોન મામલે માત્ર નાની માછલીઓ સામે જ કાર્યવાહી થતા ગુજરાત હાઈકોર્ટ ખફા
Rajkot Gaming Zone Fire Case: રાજકોટમાં સળગી ગયેલા TRP ગેમિંગ ઝોનના ઉદ્ઘાટન સમારોહમાં અનેક વરિષ્ઠ અધિકારીઓની હાજરી સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માત્ર નીચલા સ્તરના અધિકારીઓને પકડી રહી છે અને મોટી માછલીઓને છોડી રહી છે. ગેમિંગ ઝોનનું બાંધકામ શરૂ થયું ત્યારથી તે પૂર્ણ થયું ત્યાં સુધી કોની કોની ભૂલ હતી, તેની ગહન તપાસ થવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેના ઉદ્ઘાટન સમારોહમાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. તમે માત્ર નીચલા સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ પણ જવું પડશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ ન કહી શકે કે, એમને આની જાણ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ હતા. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેચ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.
4 જુલાઈ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે - ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને સોમવાર સુધીમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ હેઠળ એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું. આ કમિટીએ 4 જુલાઈ સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે.
આ સાથે, બેચે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રાજ્યની પ્રિ-સ્કૂલ સહિતની તમામ કેટેગરીની શાળાઓમાં આગ સલામતીની પૂરતી વ્યવસ્થાઓ ચકાસવા માટે ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કામ એક મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.
SIT તપાસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે - સુનાવણી દરમિયાન અરજદારના વકીલે ખંડપીઠને માહિતી આપી હતી કે, રાજકોટના તત્કાલિન પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી ગેમિંગ ઝોનના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
તાજેતરની મોરબી બ્રિજ દુર્ઘટના અને હરણી તળાવની ઘટનાનો ઉલ્લેખ કરતાં મુખ્ય ન્યાયાધીશે શહેરી સ્થાનિક સંસ્થાઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં તમે લાંબા સમયથી SITના તપાસ રિપોર્ટની રાહ જોઈ. તે ખૂબ મોડું આવ્યો હતો.












Click it and Unblock the Notifications
