હાર્દિક પટેલે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવારને આપ્યો એક લાખ રૂપિયાનો ચેક
હાર્દિક પટેલે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને એક લાખ રૂપિયા આપી આર્થિક સહાય પૂરી પાડી હતી.
રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને પોલિટેકનિક કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય રાકેશ વઘાસિયા છેલ્લા ચાર મહિનાથી કોમામાં છે. જેના ખબર અંતર પૂછવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા. તેમણે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને એક લાખ રૂપિયા આપી આર્થિક સહાય પૂરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ વિશે આપેલા નિવેદન વિશે મીડિયાને જણાવ્યુ હતુ કે પટેલ સમાજ કોઈનો ગુલામ નથી. ભાજપ ફાંકો કાઢી નાખે.
હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી પર વળતો પ્રહાર કરીને ભાજપ પાટીદાર સમાજની વાતો કરે છે પરંતુ ચાર મહિનાથી કોમામાં રહેલ પ્રોફેસર પણ પાટીદાર સમાજનો જ દીકરો છે. ભાજપના કયા નેતાએ તેમની મુલાકાત લીધી કે આ દીકરાને મદદ કરી પહેલા તેનો જવાબ આપે અને પછી પાટીદાર સમાજની વાતો કરે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેઓ સ્વસ્થ થાય માટે પ્રાર્થના કરીને પરિવારને આશ્વાસન આપ્યુ હતુ.
હાર્દિક પટેલે જણાવ્યુ કે આપણી હિંદુ સંસ્કૃતિમાં શિક્ષકની વ્યાખ્યા 100 ગુરુ બરાબર કરવામાં આવી છે. રાજકોટના એક શિક્ષક કોરોના સામે 22 દિવસ જંગ લડ્યા બાદ કોમામાં છે. તેમના ઘરમાં પાંચ વર્ષની દીકરી અને 2-3 મહિનાનો એક દીકરો છે. આવા સંજોગોમાં આ પરિવારને મદદ થાય એ હેતુથી અમે અહીં આવ્યા હતા. પરિવારને આશ્વાસન આપ્યુ છે કે અમે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે રાજ્ય કે દેશમાં જ્યાં પણ દરેક લેવલે અમે આ પરિવારને આર્થિક મદદ મળે તે માટે વાત કરીએ છીએ. અમે સરકારને વિનંતી કરી છે કે અમુક કારણોસર વઘાસિયાભાઈનો પગાર જે બંધ કરવામાં આવ્યો છે તે બંધ ન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કોરોનાના દર્દીને જે મળવાપાત્ર આર્થિક સહાય આપવામાં આવે અને તેમની પાંચ વર્ષની દીકરીને સારી સ્કૂલમાં એડમિશન આપવામાં આવે.