સિંગતેલના ભાવોમાં તહેવારના સમયે જ કરાયો વધારો, જાણો લેટેસ્ટ ભાવ
તહેવારના સમયે સિંગતેલના ભાવોમાં વધારો થતાં સામાન્ય જનતાને પડતા પર પાટુ મારવા જેવુ થયુ છે.
રાજકોટઃ કોરોના વાયરસની બીજી લહેર હજુ સુધી શાંત નથી થઈ અને ત્રીજી લહેરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. એવામાં તહેવારના સમયે સિંગતેલના ભાવોમાં વધારો થતાં સામાન્ય જનતાને પડતા પર પાટુ મારવા જેવુ થયુ છે. રાજ્યમાં શ્રાવણ મહિનાથી તહેવારોની મોસમ ચાલુ થાય છે જે દિવાળી સુધી ચાલે છે ત્યારે સિંગતેલના ભાવોમાં વધુ 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સિંગતેલ લૂઝના ભાવ 10 કિલોગ્રામના 1540 રૂપિયાથી વધીને 1550 રૂપિયા થઈ ગયા છે. જ્યારે સિંગતેલ નવા ટીન 15 કિલોગ્રામના 2490 રૂપિયાથી 2530 રૂપિયા હતા જે 2500 રૂપિયાથી 2540 થઈ ગયા છે. રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલનો ભાવ પણ સિંગતેલના ભાવ જેટલો જ થઈ ગયો છે. કોરોના મહામારીના આ સમયમાં જ્યારે લોકો બેરોજગારી અને મોંઘવારી સમયે ઝઝૂમી રહ્યા છે ત્યારે તહેવારોના સમયે સિંગતેલના ભાવમાં કરેલો વધારો સામાન્ય જનતાની કમર તોડી નાખવા સમાન છે. સ્થાનિક બજારમાં કાચા માલની અછત સર્જાતા ભાવમાં વધારો થયો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.