વડાપ્રધાન મોદી કરશે 129.53.કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ
ભારતના લોકોનાં ઇઝ ઓફ લિવિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ હેઠળ ટેક્નોલોજીનો મહત્તમ લાભ ઉઠાવી નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓનાં ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પિત કરવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે તારીખ 27 જુલાઈના રોજ પધારી રહ્યા છે.

જેમાં રાજકોટમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય, તે માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂપિયા 129.53.કરોડના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટિલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.
આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રીજ ઉપર નવો બ્રીજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો, ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BRSTW કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલા બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવવાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં રણજિત બિલ્ડકોન
લિ. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તારીખ 21/01/2021થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી 15 મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફુટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર ઉભો કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ 5.50થી 8.50 મીટરનો સર્વિસ રોડ, બ્રિજની નીચે 7500 ચોરસમીટરનું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન તથા સર્વિસ યુટિલિટી ડક્ટ એ બ્રિજની મુખ્ય વિશેષતાઓ છે.
રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર 4 લેન (2 લેન + 2 લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ 1152.67 મીટર લંબાઇ, 15.50 મીટર પહોળાઈ તથા 15 મીટર ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ 690 મીટર અને કોટેચા ચોક તરફ 417 મીટર છે.
કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફલાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફલાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલ પાસે વિરામ પામશે. મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધી જવા માગતા વાહનો ટ્રાફિકની સમસ્યા નડશે નહીં પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટામૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થનાર આ પુલથી અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને સરળતાથી પરિવહનનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
