તરઘડી ખાતે યોજાનાર 'સ્વાતંત્ર્ય દિવસ'ના કાર્યક્રમનુ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયુ
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રાજકોટઃ ભારત દેશ ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ આઝાદીના ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. સમગ્ર દેશ "આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને પડધરી તાલુકાના તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં થનાર છે. જે અન્વયે આજરોજ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં કલેકટરશ્રીએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ સર્વે અધિકારીશ્રીઓને આઝાદીના ૭૬માં વર્ષના મંગલ પ્રવેશને યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કે. બી. ઠક્કર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવની હરણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી. એસ. કૈલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, જવાહર નવોદય વિદ્યાલયનો સ્ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.