બારડોલીમાં રખડતા શ્વાનને કારણે 4 વર્ષના બાળકનું મોત, કરડ્યાના 10 દિવસ બાદ હડકવાના લક્ષણ દેખાયા
રાજ્યમાં દિવસને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ઢોરની સાથે સાથ રખડતા શ્વાનનો ત્રાસ પણ સામે આવ્યો છે. હાલમાં જ રખડતા શ્વાનને કારણે બારડોલીમાં એક 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ, બારડોલીમાં રખડતા શ્વાનનો વધુ એક વખત ત્રાસ સામે આવ્યો છે, રખડતા શ્વાન કરડ્યા બાદ 4 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણકારી મુજબ, શાસ્ત્રી રોડ પર અભિલાષા સોસાયટીમાં રહેતા અમિતભાઈ વ્યાસનો 4 વર્ષનો પુત્ર અર્શીલ લગભગ દસ દિવસ પહેલા સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક એક રખડતા શ્વાન કરડ્યુ હતું.
અર્શીલને રખડતુ શ્વાન કરડ્યુ હોવાની માહિતી મળતાની સાથે જ પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરે સલાહ આપી કે ઘા નાનો હોવાથી કોઈ રસીની જરૂર નથી. આ વાતથી આશ્વાસન મળતાં પરિવાર ઘરે પાછો ફર્યો હતો. જોકે દસ દિવસ પછી મંગળવારે અર્શીલમાં હડકવાના લક્ષણો દેખાયા. તેની હાલત વધુ ખરાબ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બાદમાં વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. દુઃખદ વાત એ છે કે તે બચી શક્યો નહીં.

રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે
આ ઘટના અંગે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી પંકજ ફનાસિયાએ જણાવ્યું હતું કે, "આ વિશે જાણ થયા પછી અમારી ટીમે સ્થળની મુલાકાત લીધી છે અને સર્વે શરૂ કર્યો છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી પુષ્ટિ મળી નથી. સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે."
બાળકોની સલામતી માટે રસી અપાવી
દરમિયાન તેમના બાળકોની સલામતીના ડરથી અર્શીલના સંપર્કમાં આવેલા અન્ય બાળકોના માતા-પિતા બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલમાં દોડી ગયા અને તેમને રસી અપાવી હતી.












Click it and Unblock the Notifications
