સુરત કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા સાથે વાતચીત
વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં આજે અમે તમને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા સાથે મુલાકાત કરાવીશુ.
સુરતઃ વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં આજે અમે તમને સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા સાથે મુલાકાત કરાવીશુ. અસલમ સાયકલવાળા ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મ્યા છે. તેઓ અભ્યાસકાળથી જ ચતુર અને હોશિયાર હતા. નાનપણથી જ શાળાના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં ભાગ લઈ અવ્વલ આવતા હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ મહોલ્લામાં રસ્તા, ગટર, લાઈટ અને પાણીની સમસ્યાને લઈને લોકોની મદદે આવી કામ પૂરા કરાવતા હતા. હંમેશા લોકો સાથે થતાં અન્યાય સામે અવાજ ઉઠાવી ન્યાય અપાવતા. ધીમે ધીમે રાજકારણમાં ઝંપલાવી સૌ પ્રથમ વાર આંજણા વૉર્ડમાંથી ઉમેદવારી કરી જીત મેળવી.
પ્રશ્નઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, છેલ્લા પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓ લોકો સુધી પહોંચી કે નહિ?
જવાબઃ વર્ષ 2015 પહેલા સુરત મહાનગરપાલિકાના જે વૉર્ડ હતા એનુ સીમાંકન એ પ્રકારે થતુ હતુ કે એ જે-તે ઝોનમાં જ આવતા હતા પરંતુ 2015 પછી એ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો. ઘણા વોર્ડ બે કે બે કરતા વધુ ઝોનમાં સમાવવામાં આવ્યા. 50 ટકા વૉર્ડમાં માળખાકીય સુવિધા સંતોષજનક રીતે લોકોને મળી નથી શકી. જેનુ કારણ એ છે કે ઝોન બદલાવાના કારણે પાયાગત સુવિધાઓ આપવામાં મુશ્કેલી પડી. આ જ નીતિ 2020ના સીમાંકનમાં પણ ચાલુ રાખી છે. જેના માટે ગુજરાત ભાજપનો શહેર વિકાસ વિભાગ દોષી છે. આ નીતિના કારણે સુરતને અન્યાય થયો છે. 2020ના નવા સીમાંકન મુજબ એક વૉર્ડ દીઠ 1,54, 845ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા જે સુરત કરતા મોટી છે, વસ્તી વધુ છે ત્યાં એક વૉર્ડ દીઠ 1,18,001ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવી છે. આ રીતે ભાજપની નમાલી અને પાંગળી નેતાગીરી દ્વારા સુરતને સદંતર અન્યાય કરવામાં આવ્યો છે.
પ્રશ્નઃ અસલમભાઈ ગઈકાલે જે વૉર્ડનુ સીમાંકન થયુ અને જે વાંધા ઉઠાવવામાં આવ્યા તે બાબતે તમારુ શું મંતવ્ય છે?
જવાબઃ કોંગ્રેસ પક્ષ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં વાંધાઓની રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જે 30 વૉર્ડ મળ્યા છે તેમાં ચોક્કસ ટાર્ગેટ કરીને લઘુમતી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે. આજે આખા સુરતની અંદર 120 બેઠકો જાહેર થઈ 30 વૉર્ડ થયા. દલિત માટે માત્ર એક પુરુષ સીટ, બે મહિલા, આદિવાસી સમાજ માટે બે પુરુષ અને બે મહિલા. મને એ સમજાતુ નથી કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વૉર્ડ કરવામાં આવ્યા છે કે શું, આ 2020 ચાલે છે. આ નવ વર્ષના ગાળામાં જે વસ્તી વધારો થયો છે તેનુ ધ્યાન રાખવામાં આવ્યુ નથી. સરકારે પછાત વર્ગ સાથે અન્યાય કરીને તેમની દલિત વિરોધી, આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે. કોંગ્રેસ જ્યાં જીતી શકે છે તેમ છે એવા વૉર્ડોને જાણીજોઈને તોડવામાં આવ્યા છે. વોર્ડનુ સીમાંકન મ્યાનમારના નક્શાની જેમ બનાવી દીધુ છે. અમુક વૉર્ડમાં તો ક્ષેત્રફળ 10-15 કિલોમીટરનુ આપેલુ છે. આના કારણે લોકોની પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ઠેરની ઠેર રહેશે. માળખાકીય સુવિધાઓ મળશે નહિ અને લોકોમાં અસંતોષ વધશે. અમને સુરતની જાગૃત પ્રજા પ્રત્યે એટલો વિશ્વાસ છે કે ભાજપની કૂટનીતિ, સુરત શહેર સાથે ભાજપના અન્યાય સામે તેઓ આગળ આવશે અને ભાજપના શાસનને ઘરભેગા કરશે.
BROના 43 પુલોના આજના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સ્થગિત