પ્રધાનમંત્રી આવાસ યોજના: પ્રિયંકાબેનનું સપનું ગુજરાત સરકારે કર્યું સાકાર
Pradhan Mantri Awas Yojana: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા રામપુરા ગામના પ્રિયંકાબેન મહેશભાઇ ગામિતના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂપિયા 1.20 લાખની સહાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી-સુરત તરફથી મળી હતી.
તેમજ મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી મળી જેમાં રૂપિયા 17620 અલગથી આવાસ બાંધવા માટે મજૂરી પેટે મળ્યા હતા. કોઈ ધનવાન માટે આ સહાય નજીવી હોઈ શકે પણ પ્રિયંકાબેન જેવા સામાન્ય મહિલા માટે લાખો રૂપિયાની સહાય બરાબર જ છે.
લાભાર્થી પ્રિયંકાબેન મહેશભાઇ રાઠોડ જણાવે છે કે,પહેલા મારૂં ઘર કાચુ હતુ. માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયા હોવાથી ચોમાસામાં વરસાદ વધુ પડવાથી ઘરની અંદર અને આજુ-બાજુ પાણી પડતું હતું. શૌચાલય પણ ન હોવાથી ખુલ્લામાં શૌચ કરવાની નોબત હતી અને રહેવામાં ખૂબ સમસ્યાઓ હતી.

ગામના સરપંચે PM આવાસ યોજના વિશે અમને વાત કરી હતી, તેના અનુસંધાનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા PM આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું. અમને પ્રથમ હપ્તે રૂપિયા 30 હજાર એડવાન્સ પેટે આપ્યા હતા. મકાનની કામગીરી શરૂ કરી ત્યાર બાદ મારૂ મકાન લિન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તે પેટે રૂપિયા 50 હજાર મળ્યા હતા, ત્યાર બાદ મકાનનું બાંધકામ પૂર્ણ થયું, ત્યારે ત્રીજા હપ્તે પેટે 40 હજાર મળ્યા હતા. જેમાં મજૂરી કરી બચાવેલી અમારી જમા પુંજીમાંથી થોડા નાણા ઉમેરી મકાન સારૂ અને સુવિધાજનક બનાવ્યું છે.
PM આવાસ અને મનરેગા યોજના દ્વારા આવાસ બાંધકામ કર્યું છે, હવે મકાન સારૂ બન્યું હોવાથી અમારો મોભો વધ્યો છે. રહેવામાં પહેલા જેવી મુશ્કેલીઓ પડતી નથી. શૌચાલયની સુવિધા મળતા હવે ખૂલ્લામાં શૌચથી મુક્તિ મળી છે.
તેમણે કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેક્શન પણ મળ્યું છે. ગેસ મળવાથી રસોઈ સમયે ધૂમાડામાંથી મુક્તિ મળી છે, અને સમયની પણ બચત થઈ છે. હવે સમયસર ધૂમાડામુક્ત રસોઈ બનાવી શકું છું. ગરમીના સમયે ચૂલા પર રાંધવું ખૂબ પીડાદાયક હતું. પણ ઉજ્જવલા યોજનાએ આ તમામ હાડમારીઓથી છૂટકારો અપાવ્યો છે.
આમ ગુજરાત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના અને ઉજ્જવલા યોજના મારા પરિવાર માટે આશીર્વાદરૂપ નિવડી છે.












Click it and Unblock the Notifications
