વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્ત
વલસાડ કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિની બેઠક યોજાઇ હતી.
વલસાડ કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિની બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જાહેરાત કરી કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા ચાર ઓવર બ્રિઝને છ માર્ગીય કરવા દરખાસ્ત કરવામાં આવી છે. આ માંગણીને મંજૂરી મળતાં જ કામ શરૂ કરી દેવાશે, તો ભવિષ્યમાં ટ્રાફીકની સમસ્યાનો નિવેડો આવી શકશે.
સાંસદ રંજન ભટ્ટે આ બેઠકમાં ઉપસ્થિતિ અન્ય જનપ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, તેઓ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ ઉપર ચાર ઓવર બ્રિજને કારણે થતાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
સાંસદ રંજન ભટ્ટે કહ્યુ હતુ કે, આ રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પૂલ હાલના સમયે ફોરલેન છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલી આપવામાં આવી છે.