સુરતથી પ્રયાગરાજ કુંભમેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરે વીડિયો બનાવીને કહ્યું, મોદીજી અમને બચાવી લો
આજથી મહાકુંભ 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને હજારોની સંખ્યામાં ગુજરાતથી પ્રયાગરાજ તરફ લોકો જઈ રહ્યા છે ત્યારે સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પથ્થરમારાને કારણે એસી કોચનો કાચ તૂટી ગયો, જેના કારણે ટ્રેનમાં કાચ વેરવિખેર થઈ ગયા. કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ એક વીડિયો બનાવીને આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ રેલવેને પણ કરવામાં આવી છે.
સમગ્ર પથ્થરમારાની માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે લગભગ 3:20 વાગ્યે બની હતી. જ્યારે DSCR/BSL ને આ મેસેજ મળ્યો હતો કે ટ્રેન નંબર 19045 તાપ્તીગંગા એક્સપ્રેસના કોચ નંબર B-6ના બર્થ નંબર 33-39 પાસે કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યો છે. જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો.
સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે
સમગ્ર ઘટના મામલે સેન્ટ્રલ રેલવે સીપીઆરઓએ જણાવ્યું હતું કે, 'ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટનાને લઈને તાત્કાલિક આરપીએફ જવાનોની એક ટીમને ટ્રેનમાં ડિપ્લોય કરાઈ હતી અને ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'

આજથી મહાકુંભમાં સ્નાનની શરૂઆત
પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન દેશ દુનિયાના કરોડો લોકો મહાકુંભમાં સ્નાન કરશે. બ્રહ્મમુહૂર્તથી શ્રદ્ધાળુઓએ ત્રિવેણીની પાવન જળધારામાં આસ્થાની ડુબકી લગાવવાની શરૂઆત કરી. સવારે 5.27 વાગે બ્રહ્મમુહૂર્તથી શ્રદ્દાળુઓ સંગમ તટ પર સ્નાન ચાલુ થયા. દિવસભર સંગટ તટના અલગ અલગ ઘાટો પર શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. ઘાટોની સુરક્ષા માટે જળ પોલીસ અને એનડીઆરએફની તૈનાતી કરાઈ છે. સ્નાન ઘાટો પર ગંગા અને જમુનાની જળધારામાં ડીપ વોટર બેરિકેડિંગ પણ કરાઈ છે.
13 અખાડાના સંતો સ્નાન કરશે
ગંગા અને યમુનાના તટ પર કુલ 12 કિલોમીટરમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. પોષ પુર્ણિમા સ્નાન પર્વથી જ મહાકુંભમાં પવિત્ર કલ્પવાસની શરૂઆત થશે. 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર તમામ 13 અખાડાના સંત સ્નાન કરશે.












Click it and Unblock the Notifications
