Surat : હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ગજેરા ભાઈઓ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઈકોર્ટના આદેશ બાદ જાણીતા બિલ્ડર વસંત ગજેરા અને તેમના ભાઈઓ સહિત અન્ય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ કેસ રિંગ રોડ પર આવેલા મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટના પ્રોજેક્ટ્સમાં થયેલી અબજો રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલો છે.

શાંતિ રેસિડેન્સીના ભાગીદાર પ્રવીણ અગ્રવાલે ગજેરા બંધુઓ પર 1,928.39 કરોડની છેતરપિંડી અને દસ્તાવેજોમાં ચેડાં કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, વર્ષ 2022-23માં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા.
હાઈકોર્ટે મામલાની ગંભીરતા જોઈ FIR નોંધવા આદેશ આપતા સુરત પોલીસના આર્થિક ગુના નિવારણ એકમે (EOW) વધુ તપાસ હાથ ધરી છે. આરોપ છે કે આરોપીઓએ ફરિયાદીની ડિજિટલ સહીનો ખોટો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો દ્વારા તેમને ભાગીદારીમાંથી બહાર કરી દીધા હતા.
વિવાદની વિગત મુજબ, અગ્રવાલ પરિવાર શાંતિ રેસિડેન્સી કંપનીમાં અંદાજે 43% જેટલો મોટો હિસ્સો અને લાખોની સંખ્યામાં શેર ધરાવતો હતો. મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 માર્કેટના પ્રોજેક્ટ્સ દરમિયાન વસંત ગજેરા અને તેમના પરિવારે ફરિયાદીની જાણ બહાર દુકાનોનું વેચાણ શરૂ કર્યું હતું.
આરોપ છે કે દુકાનોના વેચાણની 93% જેટલી રકમ રોકડમાં ઉઘરાવીને કંપનીના સત્તાવાર ચોપડે જમા કરાવવામાં આવી ન હતી. FIRમાં ઉલ્લેખ છે કે 2,085 કરોડના કુલ વેચાણમાંથી માત્ર 157 કરોડ જ ચેકથી લેવાયા હતા, જ્યારે બાકીના કરોડો રૂપિયા રોકડા લેવાયા હતા.
આ કૌભાંડની રકમનો ઉપયોગ આરોપીઓએ અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવા અને પોતાની ડાયમંડ ફર્મ્સમાં ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કર્યો હોવાનો દાવો છે. એટલું જ નહીં, ફરિયાદીએ વિરોધ કર્યો તો તેમને ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
કંપનીની મૂડીમાં વારંવાર ફેરફાર કરીને અગ્રવાલ પરિવારનો હિસ્સો 43% થી ઘટાડીને માત્ર 4.2% કરી દેવા માટે ROCમાં ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. હવાલા મારફતે નાણાં હોંગકોંગ મોકલી ફરી ભારતમાં લાવીને શેરહોલ્ડિંગમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો પણ ફરિયાદમાં કરાયા છે.
હાલમાં સુરત પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.












Click it and Unblock the Notifications
