વડોદરાઃ 15 દિવસ પહેલા જન્મેલા જોડિયા બાળકોને થયો કોરોના, પ્રશાસનની વધી ચિંતા
ગુજરાતના વડોદરાની એક હોસ્પિટલમાં બે નવજાત જોડિયા બાળકો કોરોના સંક્રમિત મળતા હોબાળો મચી ગયો છે.
વડોદરાઃ દેશમાં વધતા કોરોના દર્દીઓએ ફરીથી પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. હવે કોરોનાની ચપેટમાં નવજાત બાળકો પણ આવી રહ્યા છે. લેટેસ્ટ કેસમાં ગુજરાતના વડોદરાની એક હોસ્પિટલમાં બે નવજાત જોડિયા બાળકો કોરોના સંક્રમિત મળતા હોબાળો મચી ગયો છે. તમને જણાવી દઈએ કે આ બંને બાળકો માત્ર 15 દિવસ પહેલા જ જન્મ્યા છે. બંને ગંભીર રીતે ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના શિકાર છે. બંને બાળકોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
બંને બાળકો ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના શિકાર
જો કે બંને બાળકો વિશે હોસ્પિટલના ડૉક્ટર્સે કહ્યુ કે બંને બાળકો ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના શિકાર છે અને બંનેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. જો કે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને હવે તે બંને પહેલાથી વધુ સારા છે અને સંપૂર્ણપણે અમારા નિરીક્ષણ હેઠળ છે. જો કે બંનેના શરીરમાં વાયરસ ક્યાંથી આવ્યો એ વિશે હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઉપરાંત ડૉક્ટરે બાળકોના મા-બાપ અને પરિવાર વિશે કંઈ કહ્યુ નથી. નવજાત બાળકોના કોરોનાના સમાચારે પ્રશાસન પર દબાણ વધારી દીધુ છે. હાલમાં પ્રશાસને લોકોને બધા પ્રકારની સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81,466 કેસ
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવેલ આંકડા મુજબ દેશણાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81,466 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિત કેસોની સંખ્યા 1,23,03,131 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 469 લોકો મોતના શિકાર થઈ ગયા છે ત્યારબાદ મરનારની કુલ સંખ્યા 1,63,396 થઈ ગઈ છે. દેશમાં હજુ સક્રિય કેસ 6,14,696 છે અને કાલ સુધી કુલ 6,87,89,138 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.
ગુજરાત આવતા લોકો પાસે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ હોવો જરૂરી
ગુજરાતની વાત કરીએ તો તે પણ દેશના સૌથી વધુ કોરોના ગ્રસ્ત રાજ્યોમાંનુ એક છે. ગુરુવારે અહીં કોરોનાના 2410 નવા કેસ આવ્યા છે કે જે એક દિવસના હિસાબે ઘણી વધુ સંખ્યા છે. એટલુ જ નહિ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 9 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ મોતનો આંકડો 4528 સુધી પહોંચી ગયો છે. કોરોનાના વધતા કેસોને જોતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે ગુજરાત આવતા લોકો પાસે કોરોનાનો નેગેટીવ રિપોર્ટ હોવો જરૂરી છે. આ રિપોર્ટ RT-PCR જ હોવો જોઈએ. આ આદેશ ગુરુવારથી લાગુ પણ થઈ ગયો છે.