છોટાઉદેપુરમાં રાજ્યમંત્રી મનિષા સુથારની ઉપસ્થિતિમાં યોજાયો શિક્ષક દિવસ
છોટાઉદેપુરમાં રાજ્યમંત્રી મનિષા સુથારની ઉપસ્થિતિમાં યોજાયો શિક્ષક દિવસ
છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર અને સાંસદ ગીતા રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ ૧૩ શિક્ષકોને એવોર્ડ અને રોકડ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શિક્ષકોને ૧૫ હજારનો રોકડ પુરસ્કાર, મોમેન્ટો, શુભેચ્છા સર્ટિફિકટ અને શાલ ઓઢાડી તેઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પુરસ્કૃત થનારા શિક્ષકોમાં ૨ મહિલા શિક્ષિકાઓ અને ૯ પુરુષ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬ અલગ-અલગ ક્લસ્ટર માંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેરાત કરી હતી કે ડીઈઓ કચેરી દ્વારા ડો. રાધાકૃષ્ણન એવોર્ડ આપવાનું શરૂ કરેલ છે. રાજ્ય કક્ષાએ છોટાઉદેપુરના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. અને અગાઉના વર્ષોમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ આપણા જિલ્લામાંથી શિક્ષકોની પસંદગી થયેલી છે.
સાંસદ ગીતા રાઠવાએ કહ્યું હતું કે કલેકટર શિક્ષક બનાવી નથી શકતા પરંતુ શિક્ષક કલેક્ટર બનાવતા હોય છે. શિક્ષકો ભલે બાળકોની પરીક્ષા લેતા હોય છે પણ શિક્ષકોની પોતાની રોજ પરીક્ષા થતી હોય છે. શિક્ષકોની વાત મન અને હૃદય સુધી પહોંચી જતી હોય છે. શિક્ષક સાધારણ નથી એ આ ધરતી પર વિદ્યમાન દેવ છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ રાજ્ય સરકારની નેમ છે.તેના માટે રાજ્ય સરકારે અધતન શાળાઓ,સ્માર્ટ ક્લાસિસ અને ઉત્તમ શિક્ષકોની ભરતી સહિત વ્યાપક આયોજનો કર્યા છે જે શિક્ષકોના માધ્યમ થી ધરાતલ સુધી પહોંચે છે.