પાકિસ્તાનમાં 2300 વર્ષ જૂનો દુર્લભ ખજાનો અને બૌદ્ધ મંદિર મળ્યા!
પેશાવર, 19 ડિસેમ્બર : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભગવાન બુદ્ધનું 2,300 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. મંદિર મળવાની સાથે સૌથી ચોંકાવનારી વાત એ છે કે મંદિરની સાથે એક દુર્લભ ખજાનો પણ મળી આવ્યો છે. આ સિવાય પુરાતત્વવિદોની ટીમને ઘણી દુર્લભ અને અમૂલ્ય કલાકૃતિઓ શોધવામાં પણ સફળતા મળી છે.
2300 વર્ષ જૂની બૌદ્ધ પ્રતિમા મળી
પાકિસ્તાનના પેશાવરમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને 2300 વર્ષ જૂનું ભગવાન બુદ્ધનું સૌથી પ્રાચીન મંદિર શોધવામાં સફળતા મળી છે. અહેવાલ અનુસાર ઈટાલિયન પુરાતત્વવિદોની એક ટીમે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં 2,300 વર્ષ જૂના બૌદ્ધ સમયના એપ્સિડલ મંદિર અને કેટલીક અન્ય અમૂલ્ય કલાકૃતિઓની શોધ કરી છે. આ ખોદકામ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત જિલ્લાના બરીકોટ તહસીલના બાજીરામાં કરવામાં આવી રહ્યું છે અને અહીં ખોદકામ દરમિયાન પાકિસ્તાનમાં શોધાયેલ સૌથી જૂનું ભગવાન બુદ્ધ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વવિદોએ આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.
તક્ષશિલા કરતાં પણ જૂની શોધ
ખોદકામ અંગે ઇટાલિયન પુરાતત્વવિદોએ જણાવ્યું કે, એક ઐતિહાસિક સ્થળ પર સંયુક્ત ખોદકામ દરમિયાન પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં 2,300 વર્ષ જૂનું બૌદ્ધ સમયનું એપ્સિડલ મંદિર શોધી કાઢ્યું છે, આ ઉપરાંત અન્ય મૂલ્યવાન કલાકૃતિઓ પણ મેળવી છે. સ્વાતમાં શોધાયેલ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં જૂનું છે. જેમાં પ્રાચીન સિક્કાઓ, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મેનેન્ડર સમયની ખરોષ્ઠી ભાષાના લખાણોનો સમાવેશ થાય છે.
સ્વાત તક્ષશિલા કરતાં પણ પ્રાચીન
પાકિસ્તાનમાં ઇટાલિયન પુરાતત્વીય મિશનના વડા ડૉ. લુકા મારિયા ઓલિવરીએ જણાવ્યું કે, બૌદ્ધ કાળના ખૂબ જ પ્રાચીન મંદિરની શોધથી સાબિત થયું છે કે સ્વાત તક્ષશિલા કરતાં પણ સૌથી જૂના પુરાતત્વીય અવશેષોનું ઘર છે. ઇટાલિયન નિષ્ણાતોએ સ્વાત જિલ્લાના ઐતિહાસિક બઝિરા શહેરમાં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળોની પુનઃપ્રાપ્તિ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ડો.અબ્દુસ સમદે જણાવ્યું કે, બારીકોટ સ્વાતનું બાઝીરા શહેર તક્ષશિલાના અવશેષો કરતાં જૂનું છે.
ખૈબર પખ્તુનખ્વામાં ખોદકામ ચાલુ છે
ઈટાલીની ટોચની યુનિવર્સિટીઓના પુરાતત્વવિદો અને ખૈબર પખ્તુનખ્વા પુરાતત્વ વિભાગના પીએચડી વિદ્યાર્થીઓ બઝીરા શહેરમાં આ સ્થળોના ખોદકામમાં રોકાયેલા છે. તાજેતરમાં બઝીરા શહેરમાં કલાકૃતિઓની શોધે સાબિત કર્યું કે સ્વાત છથી સાત ધર્મો માટે પવિત્ર સ્થળ છે. ડૉ. સમદે ખુલાસો કર્યો છે કે, KP સરકારે કલમ ચાર હેઠળ 14 પુરાતત્વીય સ્થળો ખરીદ્યા છે, જ્યાં ખોદકામ ચાલી રહ્યું હતું. પાકિસ્તાનમાં ઈટાલીના રાજદૂત એન્ડ્રેસ ફેરારેસે પત્રકારોને જણાવ્યું કે પાકિસ્તાનમાં પુરાતત્વીય સ્થળો વિશ્વના વિવિધ ધર્મો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ખૈબર પખ્તુનખ્વા પુરાતત્વ વિભાગના સહયોગથી ઈટાલિયન પુરાતત્વીય મિશન છેલ્લા સિત્તેર વર્ષથી પાકિસ્તાનમાં પુરાતત્વીય સ્થળોનું રક્ષણ અને ઉત્ખનન કરી રહ્યું છે.