બાંગ્લાદેશમાં 3000ના ટોળાએ હિન્દુ ઘરો અને મંદિરો પર હુમલો કર્યો
ઢાકા, 6 મે : મીડિયા અહેવાલ અનુસાર સોમવારે અંદાજે 3000 જેટલા મુસ્લિમોએ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં બન્યો હતો. આ હિંસામાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં બાગમારા મદરેસાના મુખ્ય અધ્યાપકનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર બનાવનું મૂળ ફેસબુકને માનવામાં આવે છે. કહેવાય છે કે હિન્દુ સમુદાયના બે યુવકો દ્વારા ફેસબુક પર મહોમ્મદ પયગંબરને કથિત રીતે અપમાનિત કરતા બાંગ્લાદેશના પૂર્વ વિસ્તરમાં અંદાજે 3000 લોકોના ટોળાએ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલો કર્યો હતો.
પોલીસે ઢાકાથી અંદાજે 100 કિલોમીટર ડૂર દક્ષિણ પૂર્વમાં સ્થિત કોમિલ્લા જિલ્લાના હોમનામાં પાછલા સપ્તાહે અંદાજે બે ડઝન ઘરો અને એક મંદિર પર હુમલો કરવા મુદ્દે બાગમારા મદરેસાના મુખ્ય અધ્યાપક સહિત 17 લોકોની ધરપકડ કરી છે.
હોમનાના પોલીસ પ્રમુખ અસલમ શિકદરે જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરી છે. તેમાથી કેટલાકે તેમના પ્રાથમિક નિવેદનો નોંધાવ્યા છે. બાકી દોષિયોની ધરપકડ કરવા માટે શોધ ચાલુ રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે હુમલાનો મુખ્ય વ્યક્તિ નઝરુલ ઇસ્લામ ફરાર છે. તમામ આરોપીઓ સામે સુનિયોજિત રીતે હુમલો કરવાનો કેસ ચલાવવામાં આવશે. 26 એપ્રિલના રોજ આ ઘટના ઘટી હતી. આ હુમલો અંદાજે 20 મીનિટ સુધી ચાલ્યો હતો. હુમલાખોરોએ હુમલો કરતા સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો હતો.