પુરાતત્વવિદોનો દાવો : ઇશુ ખ્રિસ્તના ક્રોસનો ટુકડો તુર્કીમાં મળ્યો
વૉશિંગ્ટન, 2 ઓગસ્ટ : એક સદીઓ જુના ખ્રિસ્તી દેવળના સ્થાન પર ખોદકામ કરી રહેતા તુર્કીના પુરાતત્વવિદોએ પત્થરની એક તિજોરી શોધી કાઢી છે. પુરાતત્વવિદોનો દાવો છે કે આ તિજોરીમાં એક એવી વસ્તુ છે જે એ ક્રોસનો ભાગ હોઇ શકે છે જેના પર ઇસુ ખ્રિસ્તને ખિલ્લાઓ મારી લટકાવવામાં આવ્યા હતા.
આ અંગે તુર્કીના સમાચારપત્ર 'અનાદોલુ'ના અહેવાલ અનુસાર "કાળા સમુદ્ર પાસે" સિનોપ પ્રાંતના બેલેટરલ દેવળના ખોદકામ દરમિયાન ક્રોસનો એક ભાગ લાગનારી વસ્તુ મળી આવી છે. તુર્કીની મિમાર સિનાન યુનિવર્સિટી ઓફ ફાઇન આર્ટ્સમાં કલા ઇતિહાસકાર અને પુરાતત્વવેત્તા પ્રોફેસર ગુલગુન કોરોગ્લુને એ પત્થર મળ્યો છે જેના પર ક્રોસ કરેલા હતા.
આ ખોદકામની આગેવાની કરી રહેલા પ્રોફેસર કોરોગ્લુએ જણાવ્યું કે અમને તિજોરીમાંથી એક પવિત્ર વસ્તુ મળી છે. આ ક્રોસનો એક હિસ્સો છે. અમારું માનવું છે કે આ એ જ ક્રોસનો ભાગ છે જેના પર ઇશુ ખ્રિસ્તને લટકાવી દેવામાં આવ્યા હતા.
'હુર્રિયત ડેઇલી ન્યુઝ' દ્વારા કોરોગ્લુને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પત્થરની આ તિજોરી અમારા માટે ઘણી મહત્વની છે. તેનો એક ઇતિહાસ છે. તે અમારા તરફથી શોધવામાં આવેલી સૌથી કલાત્મક વસ્તુ છે. આ તિજોરીને વધારાની શોધખોળ અને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાવામાં આવી છે.