આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ : 'એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો', મિસાઇલ હુમલાના છેક 30 કિલોમિટર દૂર લોકોનાં ઘર ધ્રૂજ્યાં
આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ : 'એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો', મિસાઇલ હુમલાના છેક 30 કિલોમિટર દૂર લોકોનાં ઘર ધ્રૂજ્યાં
"એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો. ઘરની બારીઓ ધ્રૂજવા લાગી હતી અને એ પણ ત્યારે કે જ્યારે અમે એ સ્થળથી 30 કિલોમિટર દૂર હતા."
અઝરબૈજાનના ગબાલા શહેરમાંથી બીબીસીની અઝેરી સેવાના વાચક અને દર્શક તુરુલ બાખીશઝાદે આ વાત જણાવી છે.
શુક્રવારે સવારે નવ લાગ્યે તેમણે આ ઘટનાનો અનુભવ કર્યો હતો.
અઝરબૈજાનના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે આર્મેનિયાએ ગબાલા, શિયાઝાન અને કુર્દામિરમાં બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે.
અઝરબૈજાને જણાવ્યું કે તેમના જાણકારોએ ગબાલા અને કુર્દામિર વિસ્તારમાં કરાયેલા મિસાઇલ હુમલાના કાટમાળનો અભ્યાસ કરીને દાવો કર્યો છે એ ટેકટિકલ 8K14 મિસાઇલો હતી.
અઝરબૈજાનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિમાર્ણ અને પુનર્વસન માટે કામ કરતી સરકારી સંસ્થા એએનએએમએ કથિત કાટમાળની તસવીરો ટ્વિટર પોસ્ટ કરી છે.
https://twitter.com/ANAMA_gov_az/status/1319185425110601729
જોકે, આર્મેનિયાએ આ વાતને ફગાવી દીધી છે.
આર્મેનિયાના સંરક્ષણમંત્રાલયનાં પ્રવક્તા શુશાન સ્તેપન્યાને ફેસબુક પર જણાવ્યું, "આર્મેનિયા ગણતંત્રના વિસ્તારમાંથી કોઈ મિસાઇલ અઝરબૈજાન તરફ ફાયર નથી કરાઈ."
અઝરબૈજાનના સંરક્ષણમંત્રાલયનો દાવો છે કે આર્મેનિયાના 'ઑપરેશનલ-ટેકટિકલ મિસાઇલ કૉમ્પલેક્સ'માંથી આર્મેનિયા તરફ મિસાઇલ છોડવામાં આવી હતી.
બીબીસીની રશિયન સેવાના જણાવ્યા અનુસાર ગુરુવારે આર્મેનિયન સૈન્યે આ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના વધુ 40 સૈનિકોની યાદી જાહેર કરી. આ સાથે જ યુદ્ધમાં અત્યાર સુધી આર્મેનિયા 874 સૈનિકોનાં મૃત્યુ થયાં છે.
આ દરમિયાન અઝરબૈજાના રાષ્ટ્રપતિ ઇલ્હામ ઍલિયેવે જણાવ્યું કે ભવિષ્યમાં નાગોર્નો-કારાબાખને સાંસ્કૃતિક સ્વાયત્તતા આપી શકાય એમ છે, પણ સ્વતંત્ર થવા અંગેનો જનમત કે સ્વતંત્રતા નહીં અપાય.
જાપાનીઝ અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ આ વાત કરી. તેમણે જણાવ્યું, "અમે અમારા પ્રદેશમાં બીજા એક આર્મેનિયન રાજ્યનું ગઠન થવા દઈશું નહીં. આનો સવાલ જ પેદા નથી થતો. ટૂંકમાં ત્યાં કોઈ પણ પ્રકારનો જનમત લેવામાં નહીં આવે."
યુદ્ધની લૅટેસ્ટ અપડેટ
કારાબાખમાં 27 સપ્ટેમ્બરે યુદ્ધ શરૂ થયું હતું. અત્યારે આર્મેનિયાના અને અઝરબૈજાનનું સેન્ય કેટલીય જગ્યાએ એક-બીજા સામે લડી રહ્યાં છે.
બંને દેશો આ યુદ્ધમાં ડ્રોન, ઘાતક હથિયારો અને મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.
આ યુદ્ધમાં બંને દેશોના નાગરિકોને નુકસાન થયું છે અને ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે.
બંને પક્ષોએ 18 ઑક્ટોબરની મધ્યરાત્રીએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરતું જાહેરાત બાદ તરત જ બંને દેશો એક-બીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મુક્યો હતો.
પાછલાં ત્રણ અઠવાડિયાંથી ચાલી રહેલા આ યુદ્ધમાં અઝરબૈજાનનું સૈન્ય દક્ષિણ વિસ્તારમાં આગળ વધી ગયું છે.
અઝરબૈજાને ત્રણ વિસ્તારો ઝબરેલ, હાદ્રુત અને ફિજુલી પર કબજો મેળવી લીધો છે. આ વિસ્તારો 26 વર્ષથી આર્મેનિયાના કબજા હેઠળ હતા.
નાગોર્નો-કારાબાખ અંગે કેટલીક વાતો
આ 4,400 વર્ગ કિલોમીટર એટલે કે 1,700 વર્ગ માઈલનો પહાડી વિસ્તાર છે.
પારંપરિક રીતે અહીં ઈસાઈ આર્મેનિયન અને તુર્ક મુસલમાન રહે છે.
સોવિયેટ સંઘના વિઘટન પહેલાં આ એક સ્વાયત્ત ક્ષેત્ર બની ચૂક્યું હતું જે અઝરબૈજાનનો ભાગ હતું.
આંતરરાષ્ટ્રીયસ્તરે આ વિસ્તારને અઝરબૈજાનના ભાગના રૂપમાં માન્યતા અપાય છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.
આર્મેનિયા સમેત સંયુક્ત રાષ્ટ્રના કોઈ સભ્ય કોઈ સ્વઘોષિત અધિકારીને માન્યતા નથી આપતા.
1980ના દશકના અંતથી 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધમાં 30 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા.
આ દરમિયાન અલગાવવાદી તાકતોએ નાગોર્નો-કારાબાખનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો.
1994માં અહીં યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી, બાદમાં અહીં સંઘર્ષ ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.
તુર્કી ખૂલીને અઝરબૈજાનનું સમર્થન કરે છે. અહીં રશિયાનું સેન્યઠેકાણું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=khFTvp0XPAo&t=29s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો