ઓબામાએ કહ્યું MH17ને નિશાન બનાવવામાં રશિયા દોષિત, યુક્રેનમાં યુદ્ધવિરામ જરૂરી
વૉશિંગ્ટન : યુક્રેનના પૂર્વમાં મલેશિયા એરલાઇન્સના વિમાન બોઇંગ 777 એમએચ-17ને નિશાન બનાવવામાં રશિયા સમર્થક વિદ્રોહીઓનો હાથ હોવા બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધાર્યું છે. ઓબામાએ જણાવ્યું છે કે વિમાનને નિશાન બનાવનારી 'બક' મિસાઇલ રશિયા સમર્થક વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાંથી ચલાવવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતા જોતા બરાક ઓબામાએ આ ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. બીજી તરફ રશિયાના સમર્થક લડવૈયાઓ જણાવી રહ્યા છે કે મિસાઇલ તેમના વિસ્તારમાંથી ચલાવવામાં આવી ન હતી.
આ સંદર્ભમાં 18 જુલાઇ, 2014, શુક્રવારના રોજ બરાક ઓબામાએ આંતરરાષ્ટ્રીય નેતાઓ જેમ કે ઓબામાએ ગઈ કાલે બિરટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ સાથે ફોન પર અલગ અલગ વાત કરીને રશિયા જો યુક્રેનમાં ચાલતા ઘર્ષણને ઘટાડવાના પગલાં ન લે તો તેની સામે નવા પ્રતિબંધો લાદવા અંગે ચર્ચા કરી સમર્થન મેળવ્યું હતું. આ માટે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ ફોન કરીને ચેતવ્યા છે.
ઓબામાએ કહ્યું છે કે પૂર્વ યુક્રેનમાં અલગતાવાદીઓની પ્રવૃત્તિઓ અને મલેશિયન જેટ વિમાનને તોડી પાડવાની ઘટના માટે રશિયા જ જવાબદાર છે. અલગતવાદીઓને રશિયામાંથી જ મોટા શસ્ત્રો પૂરા પાડવામાં આવી રહ્યા છે. અલગતાવાદીઓ અને યુક્રેનના લશ્કરી દળો વચ્ચેના ઘર્ષણમાં રશિયાની સીધી ભૂમિકા છે.
આ દરમિયાન સિક્યૂરિટી સર્વિસ ઓફ યુક્રેન (એસબીયૂ)એ જણાવ્યું છે કે રશિયા સમર્થક વિદ્રોહીઓએ કબૂલ કર્યું છે કે તેમણે જ યુક્રેન પરથી ઉડી રહેલા મલેશિયા એરલાઈન્સના વિમાનને તોડી પાડ્યું હતું, જેમાં 298 મુસાફરોના જીવ ગયા હતા.
અત્યાર સુધીમાં વિમાન દુર્ઘટનાસ્થળેથી 181 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત ઇન્ટરપોલે જણાવ્યું છે કે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવા માટે 48 કલાકમાં એક દળ મોકલવામાં આવશે.