ઇંગ્લિશ ચેનલમાં બોટ ડૂબી, 31 માઇગ્રન્ટ્સના મોત
ઇંગ્લિશ ચેનલમાં બુધવારના રોજ એક ફેરી ડૂબી જતાં બ્રિટન જઇ રહેલા ઓછામાં ઓછા 31 માઇગ્રન્ટ્સનાં મોત થયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ તેને સ્થળાંતર કરનારાઓની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.
ઇંગ્લિશ ચેનલમાં બુધવારના રોજ એક ફેરી ડૂબી જતાં બ્રિટન જઇ રહેલા ઓછામાં ઓછા 31 માઇગ્રન્ટ્સનાં મોત થયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ તેને સ્થળાંતર કરનારાઓની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે. ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમેનિને જણાવ્યું હતું કે, હોડીમાં 34 લોકો હોવાનું માનવામાં આવે છે, જેમાંથી 31 મૃતદેહ મળી આવ્યા હતા અને બે જીવિત મળી આવ્યા હતા. એક વ્યક્તિ હજૂ પણ ગુમ છે. મૃતકોમાં 5 મહિલાઓ અને એક નાનું બાળક પણ શામેલ છે. (ફોટા પ્રતિકાત્મક છે)
બુધવાર સાંજ સુધીમાં સંયુક્ત ફ્રેન્ચ અને બ્રિટીશ રેસક્યૂ ટીમ બચી ગયેલાઓની શોધ કરી રહ્યા હતા. મુસાફરો કયા દેશના નાગરિક હતા તે જણાવવામાં આવ્યું નથી.
બ્રિટનના વડાપ્રધાને સરકારની આપત્તિ સમિતિની બેઠક બોલાવી છે અને ફ્રાંસના ગૃહ પ્રધાન અકસ્માતમાં બચી ગયેલા લોકોને મળવા હોસ્પિટલ ગયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઘટનાના સંબંધમાં બુધવારના રોજ ચાર શંકાસ્પદ માનવ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી.
બેલ્જિયન અને બ્રિટિશ હેલિકોપ્ટર પણ શોધમાં મદદ કરી
સ્થાનિક મેરીટાઈમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માછીમારીના જહાજ દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી કે, કેલાઈસના દરિયાકાંઠે ઘણા લોકો ખોવાઈ ગયા છે, તેઓએ તરત જ બચાવ જહાજો અને હેલિકોપ્ટર રવાના કર્યા હતા. હાલ તો ઓપરેશન ચાલુ જ છે. ફ્રાન્સના મેરીટાઇમ મિનિસ્ટર અનિક ગિરાર્ડિને જણાવ્યું હતું કે, બ્રિટિશ પેટ્રોલિંગ જહાજ તેમજ બેલ્જિયન અને બ્રિટિશ હેલિકોપ્ટર પણ શોધમાં મદદ કરી હતી.
પ્રાદેશિક મેરીટાઇમ ઓથોરિટીના વડા ફિલિપ ડ્યુટ્રોક્સે ગત અઠવાડિયે એક મુલાકાત દરમિયાન ચેતવણી આપી હતી કે, તાપમાન ઘટવા છતાં છેલ્લા ત્રણ મહિનામાં અંગ્રેજી ચેનલને પાર કરવાનો પ્રયાસ કરી રહેલા નાના જહાજોની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી 20 નવેમ્બર સુધીમાં 31,500 સ્થળાંતરીઓએ ક્રોસિંગનો પ્રયાસ કર્યો હતો અને તેમાંથી 7,800ને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. બુધવાર પહેલા આ વર્ષે અત્યાર સુધીમાં સાત લોકો મૃત્યુ પામ્યા હતા અથવા ગાયબ થઈ ગયા હતા.
ફિલિપ ડ્યુટ્રિક્સે જણાવ્યું હતું કે, 130 કિમીના દરિયાકિનારાને સંપૂર્ણપણે સુરક્ષિત કરવો અને તમામ સ્થળાંતર જહાજોને ક્રોસિંગનો પ્રયાસ કરતા અટકાવવું અશક્ય છે. તે જ સમયે તેમણે દાણચોરોની ઉદ્ધતાઈની ટીકા કરી જેઓ સ્થળાંતરોને પાણીમાં ફેંકી દે છે, કારણ કે તે નફાકારક વ્યવસાય છે.