દાઉદ ઇબ્રાહિમના ખાસ સાગરિત ઇકબાલ મિર્ચીનું લંડનમાં મોત
લંડન, 15 ઓગસ્ટ : ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓમાંના એક અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખાસ સાગરિત ઈકબાલ મિરચીનું લંડનમાં હૃદયરોગના હુમલાને કારણે મોત થયું છે. મિર્ચી 63 વર્ષનો હતો અને દાઉદનો મુંબઈમાંનો ધંધો સંભાળતો હતો. મિર્ચીનું નામ આઈપીએલ સટ્ટાખોરી કેસમાં પણ ચમક્યું હતું.
વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ અને કેફી દ્રવ્યોના વેપાર સંબંધિત અનેક કેસોમાં દોષિત મિર્ચિને મુંબઈ પોલીસ શોધતી હતી. મિર્ચીનું અસલ નામ મોહમ્મદ ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિરચી હતું. દુનિયાના ટોચના 50 ડ્રગ્સ માફિયાઓમાં તેનો સમાવેશ થાય છે. મિર્ચી લંડનના એસેક્સના પૉશ વિસ્તારમાં રહેતો હતો.
મિર્ચી અગાઉ અનેકવાર સુયોજિત ગુનાઓ કે ત્રાસવાદની પ્રવૃત્તિઓમાં સંડોવાયો હોવાનો ઈનકાર કરી ચૂક્યો હતો. વર્ષ 1995માં સ્કોટલેન્ડ યાર્ડે અને વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ્સના સંબંધમાં ત્રાસવાદના તેમજ ડ્રગ્સની હેરાફેરીના આરોપસર મિર્ચીની ધરપકડ કરી હતી. લંડનના મેજિસ્ટ્રેટે મિર્ચીને ભારતને સોંપી દેવાની ભારત સરકારની વિનંતીને નકારી કાઢી હતી.
સ્કોટલેન્ડ યાર્ડ પોલીસને મિર્ચી સામેની તપાસમાં કોઈ પુરાવો હાથ ન લાગતાં તેની સામેની તપાસ 1999માં પડતી મૂકી હતી. ત્યારબાદ વર્ષ 2001માં બ્રિટનના ગૃહ મંત્રાલયે મિર્ચીને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી હતી.