ઇજિપ્તમાં મળ્યા બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટના પુરાવા, મનાય છે અત્યારસુધીના સૌથી મોટી શોધ!
લગભગ 10 વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં એક અત્યંત રહસ્યમય દુનિયાના પુરાવા મળ્યા છે. આ પુરાવા સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટ અથવા સુપરનોવામાંથી જન્મ્યા છે.
કાઈરો, 18 મે : લગભગ 10 વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં એક અત્યંત રહસ્યમય દુનિયાના પુરાવા મળ્યા છે. આ પુરાવા સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટ અથવા સુપરનોવામાંથી જન્મ્યા છે. આ ઇજિપ્તના રણમાં પડેલું હતું, જેના રાસાયણિક ગુણધર્મો વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. કારણ કે, તેમણે આવું ક્યારેય જોયું ન હતું. આને સમજવા માટે લગભગ 10 વર્ષ લાગ્યાં, પરંતુ સંશોધકોએ હવે શોધી કાઢ્યું છે કે 'હાયપેટીયા' નામનો આ પુરાવો અથવા ખડકનો માઇક્રોસ્કોપિક ટુકડો ક્યાંથી આવ્યો અને બ્રહ્માંડમાં આ બધું કેવી રીતે બન્યું?
બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટના પુરાવા
2013 માં સંશોધકોએ જાહેરાત કરી હતી કે તેઓને દક્ષિણપશ્ચિમ ઇજિપ્તમાંથી એક ચળકતો કાંકરા જેવો ખડકનો ટુકડો મળ્યો છે, જે પૃથ્વીથી સૌથી દૂર છે. બે વર્ષ સુધી સંશોધન કર્યા બાદ જાણવા મળ્યું કે તે કાંકરા ન તો ધૂમકેતુનો ભાગ છે કે ન તો કોઈ ઉલ્કાનો ટુકડો છે. આ પથ્થરનો ટુકડો મળી આવ્યાના લગભગ 10 વર્ષ પછી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે 'હાયપેટીયા' નામનો આ સુપરનોવા વિસ્ફોટનો પુરાવો છે.
ફોરેન્સિક વિશ્લેષણમાં પુરાવા મળ્યા
કાંકરાઓનું ફોરેન્સિક વિશ્લેષણ સૂચવે છે કે પૃથ્વી પર સુપરનોવા વિસ્ફોટનો આ પ્રથમ નક્કર પુરાવો હોઈ શકે છે. સુપરનોવા એ બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટોમાંનું એક છે, જે મૃત્યુ પામતા તારાને કારણે થાય છે, જેનું દળ સૂર્ય કરતાં ઓછામાં ઓછું પાંચ ગણું હોય છે. આ સંશોધન જર્નલ Icarus માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઇજિપ્તના રણમાં મળેલા પથ્થરની ઉત્પત્તિ શોધવા માટે સંશોધકોએ સૂર્યની રચના અને આપણા બાકીના સૌરમંડળની ઉત્પત્તિને એક સમયરેખામાં સંયોજિત કરી છે, આપણી પૃથ્વીની રચનાના પ્રારંભિક તબક્કાથી પછી અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.
શું સૌરમંડળ સાથે કોઈ કનેક્શન છે?
દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ જોહાનિસબર્ગના જ્હોન ક્રેમર્સે જણાવ્યું કે, એક રીતે આપણે કહી શકીએ કે આપણે એક 'સક્રિય' સુપરનોવા વિસ્ફોટને 'પકડ્યો' છે, કારણ કે વિસ્ફોટમાંથી ગેસના અણુઓ આસપાસના ધૂળના વાદળમાં ફસાઈ જાય છે," જેણે આખરે હાયપેટીયાના મૂળ પથ્થરની રચના કરી.' એકંદરે, સંશોધકોનું કહેવું છે કે ઇજિપ્તમાં મળેલો આ દુર્લભ પથ્થર ફક્ત આપણા સૌરમંડળમાંથી જ નહીં, આ તે સમયનો છે જ્યારે આપણું સૌરમંડળ અસ્તિત્વમાં પણ નહોતું.
સુપરનોવા પછી શું થયું?
જ્યારે બ્રહ્માંડના સૌથી મોટા તારા વિસ્ફોટમાંથી એક ધીમે ધીમે ઠંડુ થાય છે ત્યારે બાકીના ગેસના અણુઓ ધૂળના વાદળો સાથે ચોંટી જાય છે. લાખો વર્ષોમાં આ વાયુઓ નક્કર ખડકોમાં ફેરવાઈ ગયા, જે કદાચ આપણા સૌરમંડળની રચનાના શરૂઆતના સમયમાં બન્યું હશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ બધું ઉર્ટ ક્લાઉડમાં અથવા ક્યુપર-બેલ્ટમાં આપણા સૌરમંડળના ઠંડા બહારના ભાગમાં થયું હતું.
'હાયપેટીયા' પૃથ્વી પર કેવી રીતે આવ્યો?
સમય જતાં તે આ મુળ ખડક પૃથ્વી તરફ આગળ વધવા લાગ્યો. જો કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે ગરમી અને દક્ષિણ-પશ્ચિમ ઇજિપ્તના વિશાળ રેતાળ રણમાં દબાણને કારણે મૂળ ખડક વિખેરાઇ ગયો અને માઇક્રો-હીરાની રચના થઇ. એટલે કે 10 વર્ષ પહેલા ઈજિપ્તમાં મળેલો ટુકડો માત્ર એક નમૂનો હોઈ શકે છે અને દુનિયામાં આવા કેટલા 'અલૌકિક' પથ્થરો વિખરાયેલા હશે તે ખબર નથી.
'હાયપેટીયા' સૂર્યમંડળમાંથી બહારની દુનિયા સાથે સંબંધિત છે?
સંશોધકોએ 'હાયપેટીયા'માં નિકલ ફોસ્ફાઈડ શોધી કાઢ્યું છે, જે આપણા પોતાના સૌરમંડળમાં અગાઉ કોઈ પદાર્થમાં જોવા મળતું ન હતું. આવી ઘણી અવિશ્વસનીય વિસંગતતાઓએ વૈજ્ઞાનિકોને સૂર્યમંડળના બાહ્ય વિશ્વ સાથેના જોડાણ વિશે વિચારવા માટે પ્રેરિત કર્યા. ક્રેમર્સના જણાવ્યા મુજબ, 'અમે એ જોવા માગતા હતા કે કાંકરામાં કોઈ પણ પ્રકારની સુસંગત કેમિકલ પેટર્ન છે કે કેમ?'
બ્રહ્માંડનો સૌથી મોટો વિસ્ફોટ કેવી રીતે થયો?
'હાયપેટીયા'ની અસામાન્ય રસાયણશાસ્ત્રે વૈજ્ઞાનિકોની રુચિ જગાડી હતી. આ પ્રકારના સુપરનોવા વિસ્ફોટ વિશે સંશોધકોનું અનુમાન છે કે એક ખૂબ જ વિશાળ લાલ તારો નાના સફેદ તારા પર પડ્યો હશે. આ કારણે બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટની જેમ એક સફેદ તારો વિસ્ફોટ થયો અને તેનું પરિણામ પૃથ્વી પર 'હાયપેટિયા' તરીકે જોવા મળ્યું.