નવાઝ શરીફ PM બનશે તો કાશ્મીરમાં આતંકવાદ વધશે?
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન આ ચૂંટણીઓમાં સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફક્રિકેટની પીચમાંથી રાજકારણ તરફ વળેલા ઇમરાન ખાનની પાર્ટીપાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ એ પણ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પોતાનો લોકમત બનાવ્યો અને વધાર્યો છે.
બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની ફરી સત્તામાં આવવાની શક્યતાઓ ઓછી જણાઇ રહી છે. પીપીપીના નેતૃત્વવાળી સરકાર પાકિસ્તાનના ઇતિહાસની પહેલી એવી સરકાર બની હતી જેણે પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. ભૂતકાળની સરકારોનો તખ્તાપલટ સેના કરતી રહી છે. પાકિસ્તાનનો ઇતિહાસ જોઇએ તો અડધાથી વધારે સમયમાં સૈન્ય શાસન રહ્યું છે.
હવે મોટા ભાગના સર્વે નવાઝ શરીફ પુન: સત્તામાં આવે એવા સંકેત આપી રહ્યા છે. આ વખતે નવાઝ શરીફે આતંકવાદીઓને ખુશ કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે વાયદો કર્યો છે કે જો તેઓ સત્તામાં આવશે તો આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધમાંથી પાકિસ્તાન પોતાને અલગ કરી લેશે.
નવાઝ શરીફની આ જાહેરાત આતંકવાદીઓ માટે ભલે ખુશખબર હોય પણ ભારત માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે છે. માનવામાં આવે છે કે જો નવાઝ શરીફ ફરી સત્તામાં આવશે તો કાશ્મીરમાં આતંકવાદને ફરી હવા મળશે. જો કે નવાઝ શરીફે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ ભારત વિરોધી ગતિવિધિઓ નહીં થવા દે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એ બાબત પર ભાર મૂક્યો છે કે ભારત - પાકિસ્તાન વચ્ચેના સંબંધોને વર્ષ 1999માં અમે જ્યાં છોડી દીધા હતા, ત્યાંથી ફરી શરૂ કરવાની જરૂર છે. તેમણે વચન આપ્યું છે કે તેઓ પાકિસ્તાનની જમીનમાંથી ક્યારેય પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં આપે.