જો નેપાળમાં PM મોદીનું પૂતળું સળગાવ્યું તો થશે આવી સજા
નેપાળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખૂબ જ કડક આદેશ પસાર કરવામાં આવ્યો છે. હવે જો કોઈ નેપાળી વ્યક્તિ નેપાળમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાઠમંડુ : નેપાળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખૂબ જ કડક આદેશ પસાર કરવામાં આવ્યો છે. હવે જો કોઈ નેપાળી વ્યક્તિ નેપાળમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નેપાળના ગૃહ મંત્રાલયે આ મામલે કડક આદેશ જાહેર કર્યો છે.
મોદી વિરુદ્ધ પ્રદર્શન સાખી લેવામાં નહીં આવે
નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ નેપાળમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવતો જોવા મળશે, તો તેની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે નેપાળમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રદર્શન કરનારાઓ સામે કડક વલણ દાખવવા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
પ્રદર્શન કરી રહ્યો હતો
એક નેપાળી માણસના મૃત્યુ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર નેપાળના એક વ્યક્તિનું ઉત્તરાખંડના પિથોરાગઢને અડીને આવેલી કાલી નદીમાં પડવાથી મૃત્યુ થયું હતું, જેના પગલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર ધારચુલાના ગસ્કુનો એક નેપાળી યુવક ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અકસ્માતમાં 30 વર્ષીય જયસિંહ ધામીનું મોત થયું હતું.
SSB પર આરોપ
નેપાળમાં વિરોધ કરી રહેલા લોકોએ એસએસબી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, કાળી નદી પાર કરવા માટે જે વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે એસએસબી દ્વારા કાપવામાં આવ્યો હતો અને તે જ અકસ્માતનું કારણ હતું. જો કે, એસએસબીએ આ આરોપને ફગાવી દીધો છે. નેપાળમાં, શાસક કમ્યુનિસ્ટ પાર્ટીની યુવા પાંખના લોકો પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળુ સળગાવ્યું હતું, ત્યારબાદ નેપાળ સરકારે ભારતીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે.
નેપાળના ગૃહ મંત્રાલયનો આદેશ
વડાપ્રધાન મોદી વિરુદ્ધ પ્રદર્શન બાદ નેપાળના ગૃહ મંત્રાલયે ભારતીય વડાપ્રધાનનો વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો કડક આદેશ આપ્યો છે. ઓર્ડર જાહેર કરતા નેપાળના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યું છે કે, નેપાળમાં ભારત અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે સહન કરવામાં આવશે નહીં." નેપાળનું ગૃહ મંત્રાલય માને છે કે, વડાપ્રધાન મોદી સામે વિરોધ કરવો અને તેમનું પૂતળું સળગાવવું એ ભારતનો અનાદર છે, તેથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નેપાળને શું ચિંતા છે?
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા નેપાળ કોંગ્રેસના નેતા છે અને તેમની સરકારને ડાબેરી પક્ષોનું સમર્થન છે. નેપાળ સરકાર તેના તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો જાળવવા માંગે છે અને નેપાળ સરકારે નક્કી કર્યું છે કે, ભારત વિરુદ્ધ, અથવા ભારતીય વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક કૃત્યો સહન કરવામાં આવશે નહીં.
નેપાળના ગૃહ મંત્રાલયે સ્વીકાર્યું છે કે, ભારતીય વડાપ્રધાનનું પૂતળું બાળવાથી નેપાળના રાષ્ટ્રીય હિતને નુકસાન થઈ શકે છે. નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, જો અમારો કોઈ પણ મુદ્દે અમારા પડોશી દેશો સાથે કોઈ વિવાદ છે, તો અમે તેને વાતચીત દ્વારા ઉકેલીશું અને આપણા દેશમાં ત્યાંના રાજ્યના વડાનું અપમાન નહીં કરીએ. રિપોર્ટ અનુસાર આદેશનું ઉલ્લંઘન કરનારને જેલની સજા થશે.